દિલ્હી ગેંગરેપ: કોર્ટે ચારેય આરોપીને ગણાવ્યા દોષી, સજાનું એલાન આવતીકાલે
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: ગત વર્ષે 16 ડિસેમ્બરની રાત્રે એક પેરા મેડિકલની વિદ્યાર્થીની સાથે સામૂહિક બળાત્કાર કેસના ચારેય આરોપીને મંગળવારે દિલ્હીની સાકેત કોર્ટે દોષી ગણાવ્યા છે. કોર્ટે આ ચારેય આરોપીની સજાનું એલાન આવતીકાલે બુધવારે કરશે.
મંગળવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે પવન, વિનય, અક્ષય અને મુકેશને દોષી ગણાવ્યા છે. દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટે આ કેસમાં સાત મહિના બાદ ચૂકાદો સંભાળ્યો હતો. હવે જોવાનું છે આ આરોપીને ફાંસી મળે છે કે ઉંમરકેદની સજા સંભળાવવામાં આવે છે.
મુકેશ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર પર ગેંગરેપ, હત્યા, હત્યાની કોશિશ સહિત ઘણી ધારાઓ અંતર્ગત આરોપ લાગેલા છે. આ મામલાના એક આરોપી રામસિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે એક સગીર વયના આરોપીને સજા સંભળાવી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરની રાત્રે મુનિરકાના આ બસ સ્ટોપ પર યુવતી પોતાના મિત્રની સાથે બસની રાહ જોઇ રહી હતી. દ્વારકાની એક બસમાં બંને સવાર થયા. બસમાં સવાર લોકોએ યુવકને ગંભીર રીતે માર માર્યો અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ચાલતી બસમાં એક કલાક સુધી બળાત્કાર કર્યા બાદ આરોપીઓએ પીડિત યુવતી અને તેના મિત્રને મહિપાલ પૂરના વિસ્તારમાં ફેંકી દીધા અને તેમની પર બસ ચડાવીને મારવાની પણ કોશિશ કરી, અને ત્યાંથી ફરાર થઇ ગયા. આસપાસના લોકોએ તેમની હાલત જોઇને પોલીસને જાણ કરી. પોલીસે યુવતીને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડી હતી.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી અને ધીરેધીરે કરીને તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી. પીડિતાના મિત્રએ તેમને ઓળખી પણ કાઢ્યા. જોકે સારવાર દરમિયાન પીડિતા 'નિર્ભયા'નું નિધન થયું. તેના મૃત્યુના પગલે દેશના લોકોમાં વધુ રોષની લાગણી પ્રસરી ગઇ.