નવી દિલ્હી, 12 માર્ચ: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બુધવારે દિલ્હીના રામલીલા મેદાનમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની રેલી આયોજીત કરવામાં આવશે. આ સંયુક્ત રેલીમાં તૃણમૂલ પ્રમુખ અને પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની સાથે સામાજિક કાર્યકર્તા મંચ શેર કરશે.
અત્ર્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારે આગામી લોકસભાની ચૂંટણીમાં પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. અણ્ણા હઝારેના સમર્થનની સાથે તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ દિલ્હીમાં પાર્ટીનું ખાતું ખોલવા માટે લોકસભા ચૂંટણી દરમિયાન રાજધાનીની બધી સાત સીટો પર ઉમેદવાર ઉતારશે. આ પ્રકારે અણ્ણા હઝારે અપ્રત્યક્ષ રીતે પોતાના જુના સહયોગી અરવિંદ કેજરીવાલનો સામનો કરશે.
રાજ્યસભામાં તૃણમૂલ કોંગ્રેસના સભ્ય સુખેંદુ શેખર રોયે કહ્યું હતું કે 12 માર્ચના રોજ રામલીલા મેદાનમાં યોજાનારી 'જનતંત્ર' રેલીમાં મમતા બેનર્જી અને અણ્ના હઝારે મળીને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત કરશે. તેમણે કહ્યું હતું કે લગભગ 300 નામોમાંથી મમતા બેનર્જી અને અણ્ણા હઝારે સાથે મળીને ઉમેદવારોની પસંદગી કરશે.
મમતા બેનર્જીએ લોકસભાની ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની યાદી નક્કી કરતી વખતે ગ્લેમર અને સ્ટાર પાવર ભાર આપવા સંબંધી ટીકા પર એમ કહેતાં પોતાનો બચાવ કર્યો હતો કે તે ઇચ્છે છે કે રાષ્ટ્રીય રાજકારણમાં તેમની ભૂમિકા હોય. તૃણમૂલની યાદીમાં કેટલીક ફિલ્મી હસ્તીઓ અને સાંસ્કૃતિક હસ્તીઓના નામ છે. વામદળો અને તૃણમૂલ કોંગ્રેસે એ આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ ચૂંટણીમાં પોતાની નાવડી પાર કરવા માટે જમીની કાર્યકર્તાઓના બદલે સ્ટાર્સ પર નિર્ભર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારેએ થોડા દિવસો પહેલાં મમતા બેનર્જીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના મુકાબલે વધુ ત્યાગી ગણાવતાં કહ્યું હતું કે જો મમતા બેનર્જી વડાપ્રધાન બને છે કે, તો તે સારી વાત છે. મમતા બેનર્જીના મુકાબલે અરવિંદ કેજરીવાલે ઓછો ત્યાગ કર્યો છે. પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી હોવા છતાં મમતા બેનર્જી સરકારી ગાડી બંગલાનો ઉપયોગ કરતી નથી અને સાદા કપડાં તથા હવાઇ ચંપલ પહેરે છે. તે મોટા મોટા ઉદ્યોગોના બદલે ગામડાને કેન્દ્રમાં રાખીને કામ કરી રહી છે. મને મમતા બેનર્જીના વિચાર પસંદ છે. અણ્ણા હઝારે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તેમની વ્યક્તિગત વિચારસણીના આધારે વડાપ્રધાન પદના પદ માટે યોગ્ય માનું છું, જો તે વડાપ્રધાન બને છે તો સારી વાત છે.