ભારતમાં આયુર્વેદિક દવાનું ઉત્પાદન 18 બિલિયન ડોલર છે - સર્બાનંદ સોનોવાલ
દેશમાં આયુર્વેદિક દવાના ઉત્પાદનનું વાર્ષિક ટર્નઓવર 2014 ના 3 બિલિયન ડોલરથી 2022 માં 18.2 બિલિયન ડોલરે પહોંચ્યું છે, એમ આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સોમવારના રોજ રાજકોટમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું.
રાજકોટ : દેશમાં આયુર્વેદિક દવાના ઉત્પાદનનું વાર્ષિક ટર્નઓવર 2014 ના 3 બિલિયન ડોલરથી 2022 માં 18.2 બિલિયન ડોલરે પહોંચ્યું છે, એમ આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સોમવારના રોજ રાજકોટમાં મીડિયાને સંબોધતા જણાવ્યું હતું.
સોનોવાલ મંગળવારના રોજ જામનગરમાં તેમના મોરિશિયસ સમકક્ષ પ્રવિંદ કુમાર જુગનાથ અને WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા WHO ગ્લોબલ સેન્ટર ઑફ ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યાની પૂર્વસંધ્યાએ ગુજરાત આવ્યા હતા.
આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આયુર્વેદિક ઉદ્યોગનું બજાર કદ વાર્ષિક 17 ટકા વધ્યું છે અને વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં તેનું ટર્નઓવર 23.3 અબજ ડોલરને સ્પર્શી જવાનો અંદાજ છે. ભારત દર વર્ષે રૂપિયા 22,000 કરોડની આયુર્વેદિક દવાઓની નિકાસ કરે છે.
આયુષ મંત્રાલય ત્રણ દિવસીય ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું પણ આયોજન કરી રહ્યું છે, જે રોકાણની સંભાવનાને ઉજાગર કરવામાં મદદ કરશે અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. આ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 એપ્રીલના રોજ ગાંધીનગર ખાતે કરશે.
મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ તથા કોબિતા જૂગનાથ અને ઉપસ્થિતો સમક્ષ ગણેશ સ્તુતિ પ્રસ્તુત કરાઈ હતી. ગુજરાતની આગવી ઓળખ રજૂ કરતા અઠંગો રાસ, ગરબા તથા ભારતીય શાસ્ત્રીય વાદનની ઉત્કૃષ્ટ કૃતિઓ વડાપ્રધાનના આગમન નિમિત્તે રજૂ કરવામાં આવી હતી. ટાન્ઝાનિયા-રવાન્ડા-નાઈજીરીયા-ઈથોપીયાના છાત્રોએ "વંદે માતરમ" ગીત રજૂ કરીને ઉપસ્થિતોને સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી હતી. કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટમાં નિવાસ કરતા મોરેશિયસના વિદ્યાર્થીઓ મોરેશિયસના વડાપ્રધાનને હૂંફાળા વાતાવરણમાં મળ્યા હતા અને વાતચીત કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મહેન્દ્ર મુન્જપરા, રાજયના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ, સંસદસભ્ય રામભાઇ મોકરીયા અને ભારતીબેન શીયાળ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર પ્રદીપ ડવ, મોરેશિયસ ખાતેના ભારતીય હાઈ કમિશનર એસ. વી. હનુમાનજી, એડીશ્નલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે. બી. ઠક્કર, એડિશનલ કલેક્ટર એન. એફ. ચૌધરી તથા એન. આર. ધાંધલ, પ્રાંત અધિકારીઓ લિખિયા, દેસાઈ, બાટી તથા વર્મા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજ સિંહ વાઘેલા, રમત ગમત અધિકારી પાંડાવદરા તથા જાડેજા, મહિલા અને બાળ સુરક્ષા અધિકારી જનકસિંહ ગોહિલ, રાજકોટ ખાતે પધારેલા વિવિધ દેશોના ડેલીગેટ્સ, રાજકોટમાં નિવાસ કરતા વિદેશી નાગરિકો તથા છાત્રો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.