તૌકતે વાવાઝોડાએ અમરેલીમાં 85 કરોડનું નુકસાન કર્યું, ખેડૂતોને મળ્યા માત્ર 47 કરોડ
ચક્રવાત તૌકતેએ અમરેલી જિલ્લામાં રૂપિયા 85 કરોડથી વધુની કિંમતના કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું હતું અને રાજ્ય સરકારે તે જિલ્લાના 31,000 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને રૂપિયા 47 કરોડથી વધુનું વળતર ચૂકવ્યું હતું.
ચક્રવાત તૌકતેએ અમરેલી જિલ્લામાં રૂપિયા 85 કરોડથી વધુની કિંમતના કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું હતું અને રાજ્ય સરકારે તે જિલ્લાના 31,000 થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને રૂપિયા 47 કરોડથી વધુનું વળતર ચૂકવ્યું હતું, રાજ્ય સરકારે સોમવારના રોજ ગુજરાત વિધાનસભામાં આ અંગે માહિતી આપી હતી.
અમરેલી વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 17 મે ની રાત્રે અમરેલીના દરિયાકાંઠે ત્રાટકેલા તૌકતે ચક્રવાતને કારણે જિલ્લામાં ઉભા પાકને રૂપિયા 85.72 કરોડનું નુકસાન પહોંચ્યું હતું.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ધારી તાલુકામાં અમરેલીના તમામ 11 તાલુકાઓમાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે, જેનો અંદાજ રૂપિયા 15.56 કરોડ છે. રાજુલા તાલુકાના 4,430 ખેડૂતોને વળતરની સૌથી વધુ 9.17 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, વળતર નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ચૂકવવામાં આવ્યું હતું, વળતર માટે કોઈ ખેડૂતનો દાવો બાકી નથી.
ઉલ્લેખીય છે કે, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દર વર્ષે આશરે 2 લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જોકે, ઓછા ઉત્પાદનના મુખ્ય કારણોમાં મે 2021 માં ચક્રવાત તૌકતે દરમિયાન કેરીના બગીચાઓને મોટા પાયે નુકસાનનો સમાવેશ થાય છે. રાજ્યના દરિયાકાંઠે આવેલા ચક્રવાતે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને ઉના તાલુકાઓમાં વિનાશ સર્જ્યો હતો, જેને કેસર કેરીની ખેતીનું હબ ગણવામાં આવે છે.
નોંધનીય બાબત છે કે, કેરીના ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરતા ડિસેમ્બર અને જાન્યુઆરીની શરૂઆતમાં અમરેલી અને ગીર સોમનાથમાં પડેલા કમોસમી વરસાદ અને તાપમાનમાં ઘટાડો થવાને કારણે કેરીના ઝાડ પર ફૂલ આવવામાં વિલંબ થયો છે. નિષ્ણાતોના મતે છેલ્લા પખવાડિયામાં નીચા તાપમાને પણ કેરીના પાક પર પ્રતિકૂળ અસર કરી છે.
ઉલ્લેખનીય છે કે, તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે 40,000 વૃક્ષો ધરાશાયી થયા હતા અને 16,500 ઝૂંપડપટ્ટીને પણ અસર થઈ હતી. ગુજરાતમાં પહોંચતા પહેલા આ વાવાઝોડાએ કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વિનાશ સર્જ્યો હતો, જોકે ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ આ ચક્રવાત પહેલા કરતા થોડુ નબળું પડ્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયાકાંઠની નજીક હતું. તૌકતે ચક્રવાતનું કેન્દ્ર સુરેન્દ્રનગર શહેરથી 130 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું.