કૃષ્ણ જન્મોત્સવ પર રાતે 12 વાગ્યે થઈ શકશે ઉજવણી, રાજકોટ જિલ્લા કલેક્ટરે પ્રસિદ્ધ કર્યુ જાહેરનામુ
શ્રાવણ મહિનાના તહેવારો હાલમાં ચાલી રહ્યા છે એ દરમિયાન રાજકોટવાસીઓને જિલ્લા કલેક્ટરે ખુશીના સમાચાર આપ્યા છે.
રાજકોટઃ શ્રાવણ મહિનાના તહેવારો હાલમાં ચાલી રહ્યા છે એ દરમિયાન રાજકોટવાસીઓને જિલ્લા કલેક્ટરે ખુશીના સમાચાર આપ્યા છે. આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે જેમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે કોરોના ગાઈડલાઈન આપવામાં આવી છે. જાહેરનામા મુજબ રાતે 12 વાગે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરી શકાશે.
રાતે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ બહાર પાડેલા જાહેરનામા મુજબ જન્માષ્ટમી નિમિત્તે રાતે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પરંપરાગત રીતે થઈ શકશે. વળી, એક સાથે 200 લોકો કોરોના ગાઈડલાઈન મુજબ દર્શનનો લાભ લઈ શકશે. આ ઉજવણી દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગ જાળવવાનુ રહેશે તેમજ ફરજિયાત માસ્ક પહેરવાનુ રહેશે. મંદિર પરિસરમાં એક સાથે મહત્તમ 200 વ્યક્તિઓ સોશિયલ ડિસ્ટંસીંગ જાળવીને દર્શન કરી શકશે.
કોરોના ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન
સોશિયલ ડિસ્ટંસીંગના નિયમનુ પાલન થાય તે માટે મંદિર પરિસરમાં ગોળ કુંડાળા કરીને તેમાં ઉભા રહીને લોકોએ દર્શન કરવાના રહેશે. વળી, તહેવાર નિમિત્તે મહત્તમ 200 વ્યક્તિઓ સાથે મર્યાદિત રૂટ પર પારંપરિક રીતે નીકળતી શોભાયાત્રામાં મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકાશે. વળી, ધાર્મિક સ્થળોએ કોરોના ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. વળી, જાહેરનામા મુજબ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનુ આયોજન કરી શકાશે નહિ.
ગણેશ મહોત્સવની ગાઈડલાઈન પણ જાહેર
જિલ્લા કલેક્ટરે આગામી 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશ મહોત્સવની ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. જે મુજબ ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફુટની જ્યારે ઘરમાં મહત્તમ 2 ફૂટની ગણેશ મૂર્તિનુ સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ-મંડપ શક્યો તેટલો નાનો રાખવાનો રહેશે. વળી, આયોજકો દ્વારા સોશિયલ ડિસ્ટંસીંગ જળવાય તે માટે યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શન કરવાની વ્યવસ્થા કરવાની રહશે. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં એક જ વાહન મારફતે સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘરે સ્થાપન કરેલ ગણેશજીનુ ઘરે જ વિસર્જન કરવામાં આવે તે હિતાવહ જણાવવામાં આવ્યુ છે. વળી, સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનુ વિસર્જન કરવાનુ રહેશે અને તે વખતે ભીડ એકઠી કરવાની નથી. ગણેશ મહોત્સવમાં પંડાલમાં રાતે 11 વાગ્યા સુધી દર્શન ચાલુ રાખી શકાશે.