નવાઝુદ્દીનને રામલીલામાં પાત્ર ભજવવાની મનાઇ, કહ્યું – નામ અને વ્યક્તિ બંને સામે વાંધો
બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને શિવસેનાએ તેમના પોતાના ગામ બુઢાનામાં રામલીલામાં કામ કરવાની મનાઇ ફરમાવી દીધી છે. ઉત્તર પ્રદેશ સ્થિત મુઝફ્ફરનગર જિલ્લાના બુઢાના ગામના નિવાસી નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના ગામમાં રામલીલામાં મારીચનું પાત્ર ભજવવાના હતા. રામલીલામાં પાત્ર ભજવવા માટે નવાઝુદ્દીન બુધવારે (5 ઑક્ટોબર) જ પોતાના ગામ પહોંચી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે નવાઝુદ્દીને પોતાના આ પાત્ર માટે ઘણુ રિહર્સલ કર્યુ હતુ.
નામ અને વ્યક્તિ બંને સામે વાંધો
નવાઝુદ્દીનના રામલીલામાં ભાગ ન લઇ શકવા પર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે અફસોસ વ્યક્ત કર્યો હતો. મુઝફ્ફરનગર શિવસેનાના મુકેશ શર્માએ કહ્યુ કે નવાઝુદ્દીન નામના વ્યક્તિને રામલીલા નહી કરવા દઇએ. અહીંની રામલીલાના ઇતિહાસમાં આજ સુધી કોઇ પણ "દીન" નામના વ્યક્તિએ રામલીલામાં કોઇ પાત્ર ભજવ્યુ નથી. તેમણે જણાવ્યું કે અમને નામ અને વ્યક્તિ બંને સામે વાંધો છે.
નવાઝનુ નામ સાંભળીને ઘણા લોકો આવ્યા હતા
તમને જણાવી દઇએ કે પોતાના જ ગામની રામલીલામાં નવાઝુદ્દીન પાત્ર નિભાવશે એવી જાણકારી મળતા આસપાસના ઘણા વિસ્તારમાંથી લોકો બુઢાના આવ્યા હતા. પરંતુ નવાઝુદ્દીનના પાત્ર ન ભજવી શકવાને કારણે તેઓ દુ:ખી થઇ ગયા હતા.
આ મામલે બુઢાના વિસ્તારના પોલિસ અધિકારી સુધીર તોમરે જણાવ્યું કે નવાઝુદ્દીન કે રામલીલા કમિટીએ હાલમાં એવી કોઇ ફરિયાદ દાખલ કરાવી નથી. તેમને એ વાતની સૂચના પણ નહોતી કે નવાઝુદ્દીન રામલીલામાં ભાગ લેવા આવી રહ્યા છે. અમુક લોકોનુ કહેવુ છે કે હાલમાં જ તેમના ભાઇની પત્નીએ તેમની સામે વિભિન્ન કલમો હેઠળ કેસ કર્યો છે, નવાઝ સામાજિક પ્રતિષ્ઠા મેળવવા આ પાત્ર કરવા માંગતા હતા.