સુરત કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી, લૉકડાઉનને લઈ જાણો શું નિર્ણય લીધો
સુરત કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી, લૉકડાઉનને લઈ જાણો શું નિર્ણય લીધો
કોરોનાવાયરસ માહામારીને પગલે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં 11 જિલ્લાના કલેક્ટર અને કમિશનરો હાજર રહ્યા હતા. આ બેઠક મળ્યા બાદ સુરતમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સુરત પ્રભારી મંત્રી કનુ દેસાઈની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. મુખ્યમંત્રીના વીડિયો કોન્ફરન્સની તરત બાદ સુરતમાં સમીક્ષા બેઠક યોજાઈ હોવાથી મુખ્યમંત્રીએ સાવચેતીના ભાગરૂપે કડક પગલાં લેવાનું કહ્યું હોવાનો અંદાજો લગાવી શકાય છે.
કનુભાઈ દેસાઈએ સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં જમાવ્યું કે કોરોનાવાયરસની આ લહેરમાં જો આપણે કાળજી દાખવશું તો કોઈ સમસ્યા નહીં સર્જાય. રોજગારીને પણ અસર નહીં. ફરી લોકડાઉન લાગશે કે કેમ તે અંગે વિવિધ અંદાજાઓ લગાવાઈ રહ્યા હતા ત્યારે કનુબાઈ દેસાઈએ સ્પષ્ટ કરી દીધું કે અત્યારે સુરતમાં લૉકડાઉન લગાવવામાં નહીં આવે, જો ડિસિપ્લિનથી કામકાજ કરવામાં આવશે તો આપણા રાજ્ય અને દેશમાં જેટલું વેક્સીનેશન થયું છે તેનો લાભ દેખીતી રીતે આપણને ત્રીજી લહેરમાં મળશે.
વધુમાં કનુભાઈએ કહ્યું કે "સુરત કોર્પોરેશન અને સુરત જિલ્લાએ જે કલેક્ટર શ્રીએ તૈયારીઓ કરી છે તેની સમીક્ષાઓ કરવામાં આવી અને તૈયારીઓ સંપૂર્ણપણે ત્રીજી લહેરમાં આપણા માટે કારગર નિવડે તેવી આશા રાખીએ છીએ." કેવી તૈયારીઓ કરી તેના સવાલના જવાબમાં કનુભાઈએ કહ્યું કે, બધા ઑક્સિજન પ્લાન્ટ ચાલુ છે, 2 પ્લાન્ટમાં સમસ્યા હતી તે પણ રિપેર કરીને ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં પણ જે જગ્યા છે, દવાની જે જરૂરિયાત છે તે બધાને લઈ પ્લાન કર્યું છે.
આગળ તેમણે કહ્યું કે, સુરતમાં 4 લાખ લોકોએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો નથી, તેમના પર આપણે ધ્યાન આપીએ તો સુરત ઘણુંબધું સુરક્ષિત થઈ જશે. આ ઉપરાંત જે લોકોએ કોરોનાવાયરસની વેક્સીનના બંને ડોઝ નથી લીધા તેમને જાહેર જગ્યાએ આગામી સમયમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
જાહેર મેળાવડાઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ગુજરાત સરકારે જેવી રીતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે તેવી રીતે આગામી સમયમાં તકેદારીના ભાગ રૂપે કોઈપણ પ્રકારના જાહેર મેળાવડાઓ નહીં થાય તેની ખાતરી આપું છું. ત્યારે ટૂંક સમયમાં જ જાહેર પ્રસંગો માટે સરકાર SOP જાહેર કરી શકે છે.