ધુળેટીના દિવસે વરાછામાં થયેલા ભેદી મોતનો ભેદ ઉકેલાયો, હત્યા થઈ હોવાનો ખુલાસો!
સુરતના વરાછા-ઘનશ્યામ નગરના કારખાનાના બીજા માળેથી પટકાતા યુવકનું મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ધુળેટીના દિવસે બનેલી આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
સુરત : સુરતના વરાછા-ઘનશ્યામ નગરના કારખાનાના બીજા માળેથી પટકાતા યુવકનું મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ધુળેટીના દિવસે બનેલી આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે હકીકતમાં યુવકને નીચે ફેંકનારાઓ તેની સામે બદલો લેવા આવ્યા હતા. કારણ કે તે તેના ઘરની છોકરીને ભગાડી ગયો હતો. આનો બદલો લેવા માટે સગીરાના ભાઈ અને કાકાએ મળીને તેને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના સુમાવલી ગામમાં રહેતા કમલેશ પરસોત્તમ કુસવાહનો 25 વર્ષીય પુત્ર સતીષે વર્ષ 2019માં ગામની એક યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. જેના કારણે સતીષ સગીર પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. જો કે, ફરિયાદ બાદ બંને ઝડપાઈ ગયા હતા અને પોલીસે સગીર યુવતીને સંબંધીઓને સોંપી સતીષને જેલમાં ધકેલી દીધો હતો. જો કે, જામીન પર છૂટ્યાના આઠ મહિના પછી સતીશ ફરીથી તે જ સગીર છોકરી સાથે ભાગી ગયો. ફરી એકવાર સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ અને આ વખતે પણ બંને ઝડપાઈ ગયા. જો કે, સગીર છોકરીએ પરિવાર સાથે જવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેને મહિલા સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી હતી અને સતીષને ગ્વાલિયર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. બે મહિના જેલમાં રહ્યા બાદ સતીશ બહાર આવ્યો અને સુરતમાં નોકરી કરવા લાગ્યો.
આ દરમિયાન 19 માર્ચના રોજ લંબે હનુમાન રોડ પરની ઘનશ્યામનગર સોસાયટી નંબર 7માં સતીશ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે સતીશ બીજા માળેથી પડી ગયો હોવાની માહિતી સામે આવી હતી. જેના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ પછી સતીશ સાથે કામ કરતા કારીગરોએ પરિવારને જણાવ્યું હતું કે, 18 માર્ચે જ્યારે સતીષ ફેક્ટરીના બીજા માળે બેઠો હતો ત્યારે તેની પ્રેમિકાના ભાઈઓ પ્રેમસિંગ કુશવાહ અને અમરદીપ કુશવાહ અને તેના કાકા સત્યવીર બાનિયા, જાનુકી બાનિયા સતીષ પાસે આવ્યા હતા અને ઝપાઝપી કરી હતી. જે બાદ તેણે સતીશને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. જેના કારણે તે મૃત્યુ પામ્યો, જો કે તે સમય માટે તમામ કારીગરો ખૂબ ડરી ગયા હતા, તેથી તેઓએ વાસ્તવિકતા છુપાવી.
આ અંગે પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં વરાછા પીઆઈએ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેમાં સતીષની હત્યાના પુરાવા મળ્યા હતા. જેના કારણે પોલીસે સતીશની પ્રેમિકાના ભાઈ પ્રેમસિંગ, અમરદીપ, ફુફા સત્યવીર અને જાનુકી સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.