ગુજરાતમાં એન્ટી ઇન્કમ્બન્સી કેમ નથી કારગર સાબિત થતી..!!
સામાન્ય રીતે સત્તા પક્ષ સામે જનતામાં આક્રોશ કે અસંતોષ ઉભો થાય અને તે વિરોધ પક્ષ તરફી જુવાળ ઉભો કરે. જેને રાજકારણમાં એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય. પરંતું, ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું એકહથ્થું શાશન હોવા છતાં એન્ટી ઇન્
સામાન્ય રીતે સત્તા પક્ષ સામે જનતામાં આક્રોશ કે અસંતોષ ઉભો થાય અને તે વિરોધ પક્ષ તરફી જુવાળ ઉભો કરે. જેને રાજકારણમાં એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય. પરંતું, ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું એકહથ્થું શાશન હોવા છતાં એન્ટી ઇન્કમ્બન્સી કારગર સાબિત થતી નથી. સરકાર સામે સતત ભ્રષ્ટાચારના આક્ષેપ, સતત વધતી મોંઘવારી, કમરતોડ સરકારી વેરા અને શિક્ષણના વ્યાપારીકરણ અને બેરોજગારીની ભરમાર છતાં સરકાર વિરોધી માહોલ નથી. ક્યાંક સરકાર વિરોધી જુવાળ હોવા છતાં સરકાર તેને નિયંત્રિત કરી શકે છે. જે ઘણા અંશે પક્ષના નેતૃત્વની રાજકીય કુનેહનો પરિચય કરાવે છે.
ગુજરાતમાં ભાજપનો લાંબા ગાળાથી કબજો છે, જેના માટે ભાજપની સતત જનસંપર્ક પ્રવૃતિઓ અને કાર્યકરો અને નેતાઓ સાથેનો સંપર્ક પણ મહત્વનો છે. ભાજપ સતત નેતૃત્વ પરિવર્તન કરતું રહે છે. એન્ટી ઇન્કમ્બન્સી ટાળવાની મહત્વની દવા છે નેતૃત્વ પરિવર્તન. જે, સ્થાનિક લેવલ પર હોય કે, પ્રદેશ લેવલ પર. ભાજપ હાઇકમાન્ડ સતત નેતૃત્વ પરિવર્તન કરીને લોકોને વિકલ્પ આપે છે. સતત એક્ટિવ રહીને અવનવા કાર્યક્રમ કે પ્રવૃતિઓ દ્વારા જનસંપર્ક જાળવી રાખે છે. પોતાની હિન્દુત્વની છબીને જાહેરમાં નકારવા છતાં તેને ફાયદો પણ મેળવતાં રહે છે.
કોંગ્રેસ નિર્ણાયક શક્તિ વિહિન પક્ષ બની ગયો છે. જ્યાં, નેતૃત્વ પરિવર્તનને કોઇ અવકાશ નથી. એજ, જૂના ચહેરા જે સતત લોકો સમક્ષ નિષ્ફળ રહ્યા છે તેમને ઉતારતા રહેવામાં આવે છે. પ્રદેશ નેતૃત્વ હાઇકમાન્ડ પર જ સંપુર્ણ નિર્ભર થઇ ગયુ છે. જેના કારણે, કોંગ્રેસ પ્રત્યેનો અણગમો લોકોમાં ઓછો થતો નથી અને ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી ઉભી થતી નથી. વિપક્ષ કોંગ્રેસ જમીની સ્તર પર જવાના અને લોકો પર પડેલી કોંગ્રેસની છાપને દૂર કરવાના બદલે આંતરિક વિખવાદ અને કાર્યકરોની અણદેખી કરી જૂથવાદને પ્રેરે છે. આ કારણે, કોંગ્રેસના નેતાઓ પોતાની સ્થાનિક અવહેલનાના કારણે સતત પક્ષથી દુર થાય છે કે નિષ્ક્રિય થઇ જાય છે. જે પરિસ્થિતિમાં સીધો લાભ હરિફ ભાજપને મળે છે.
કોંગ્રેસમાં સંપુર્ણ નેતૃત્વ પરિવર્તન નહીં થાય અને જમીની સ્તરે જનભાગીદારી શક્ય નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ મજબુત બની ભાજપનો સામનો મજબુતીથી કરી શકશે નહી જ્યારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે, કોંગ્રેસમાં નિષ્ક્રિય લાગી રહી છે, જ્યારે સામે ભાજપ આક્રમક રીતે તૈયારીમાં લાગી ગયુ છે. ત્યારે, હવે ફરીથી ભાજપ એન્ટી ઇન્કમ્બન્સી ટાળવામાં સફળ થાય છે કે, નિષ્ક્રિય કોંગ્રેસ આક્રમક બને છે તે જોવુ રસપ્રદ બની રહેશે. આ રીતે, 2022ની વિધાનસભા ચૂંટણી એન્ટી ઇન્કમ્બન્સીનો લિટમસ ટેસ્ટ બની શકે છે.