ગાંધીજીની અંગત વસ્તુઓની હરાજીમાંથી 3 મિલિયન પાઉન્ડ ઉપજ્યા
તે વિલ ગાંધીજીએ હાથે લખેલું અને ફોલિયો પેપર પર લખેલું હતું. તે માટે અંદાજિત રકમ 40,000 પાઉન્ડ હતી, પણ એનાં 55,000 પાઉન્ડ મળ્યા હતા. બીજી બાજુ, એમના લોહીના મેળવાયેલા નમૂનાવાળી માઈક્રોસ્કોપિક સ્લાઈડ ખરીદવામાં બહુ ઓછાએ રસ બતાવ્યો હતો. તે 10,000 પાઉન્ડની બેઝ પ્રાઈસ સામે માત્ર 7,000 પાઉન્ડમાં વેચાઈ હતી.
શ્રોપશાયર નગરમાં લુડ્લો રેસકોર્સ ખાતે લિલામનું આયોજન કરનાર મુલોક્સ કંપનીના ઐતિહાસિક દસ્તાવેજો માટેના નિષ્ણાત રિચર્ડ વેસ્ટવૂડ-બ્રૂક્સનું કહેવું છે કે, મહાત્મા ગાંધીનું બ્લડ સેમ્પલ ઘણાયને મન પવિત્ર હશે જ્યારે વિલ અત્યંત મહત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે, કારણ કે તે ગુજરાતીમાં લખાયેલું છે અને ગાંધીએ તેની પર એમની સહી કહી છે.
ગાંધીજીનું રક્ત 1924માં મેળવવામાં આવ્યું હતું. એ વખતે તે મુંબઈ નજીકના એક સ્થળે પેટની સારવારમાંથી સાજા થઈ રહ્યા હતા. તેમણે એ વખતે જેમના ઘરમાં રહેતા હતા તે પરિવાર માટે રક્તદાન કર્યું હતું એવું મનાય છે. હરાજીમાં ગાંધીજીની શાલ, સેન્ડલ, હાથવણાટવાળી શાલ જેવી ચીજવસ્તુઓ પણ મૂકાઈ હતી. હાથવણાટવાળી શાલના 40,000 પાઉન્ડ મળ્યા હતા જે રકમ બેઝ પ્રાઈઝ કરતાં બમણી છે. એમના ચામડાના ચંપલની જોડીના 19,000 પાઉન્ડ આવ્યા છે જ્યારે પ્રાર્થના માટેની માળા 9,500 પાઉન્ડમાં વેચાઈ હતી.