અલ-અક્સા મસ્જિદ : જેરૂસલેમમાં ફરીથી હિંસા, સાઉદી, તુર્કી સહિદ કેટલાય દેશોએ કર્યો ઇઝરાયલનો વિરોધ
અલ-અક્સા મસ્જિદ : જેરૂસલેમમાં ફરીથી હિંસા, સાઉદી, તુર્કી સહિદ કેટલાય દેશોએ કર્યો ઇઝરાયલનો વિરોધ
જેરૂસલેમમાં શનિવારે પેલેસ્ટાઇનવાસીઓ અને ઇઝરાયલની પોલીસ વચ્ચે સતત બીજી રાત્રે હિંસક ઘર્ષણ થયું, જેમાં અનેક લોકો ઘાયલ થયા.
આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને જૂના શહેરના દમાસ્કસ ગેટ પર આગ લગાડી. પોલીસે સ્ટન ગ્રૅનેડ અને વૉટર કૅનનથી જવાબ આપ્યો.
પેલેસ્ટાઇન રેડ ક્રિસેન્ટ પ્રમાણે હિંસામાં ઓછામાં ઓછા 80 પેલેસ્ટાઇનિયન ઘાયલ થયા છે અને 14ને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઇઝરાયલી પોલીસના કહેવા પ્રમાણે તેમના એક સૈનિકને ઈજા પહોંચી છે.
હિંસાની શરૂઆત શુક્રવાર રાત્રે થઈ હતી. ત્યારે 200થી વધારે પેલેસ્ટાઇનિયનો અને ઓછામાં ઓછા 17 ઇઝરાયલી પોલીસકર્મીઓ અલ-અક્સા મસ્જિદ પાસે ઘાયલ થયા હતા.
શનિવારે શું થયું?
શનિવારે હજારો મુસ્લિમ અલ-અક્સા મસ્જિદના દમાસ્કસ ગેટની પાસે લાયલાત-અલ-કદર એટલે રમઝાનની સૌથી પવિત્ર રાતે પ્રાર્થના માટે એકઠા થયા.
શનિવારે સવારે ઇઝરાયલની પોલીસે મસ્જિદની તરફ જતી હજારો બસોને રસ્તામાં રોકી લીધી હતી.
27 વર્ષના મહમૂદ અલ મરબુઆએ સમાચાર એજન્સી રૉયટર્સને કહ્યું, "તેઓ અમને નમાઝ નથી પઢવા દેવા માગતા. દરરોજ લડાઈ થાય છે, દરેક દિવસે લડાઈ થાય છે."
અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમનો દેશ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જવાબદારી સાથે કામ કરી રહ્યો છે.
પેલેસ્ટાઇનના નેતા મહમૂદ અબ્બાસે આ વાતની ટીકા કરતા ઇઝરાયલના આ હુમલાને 'ગુનો' કહ્યો છે.
અમેરિકા, યુરોપીય સંઘ, રશિયા અને સંયુક્ત રાષ્ટ્રે શનિવારે વધી રહેલી હિંસા પર 'આકરી ચિંતા' વ્યક્ત કરી છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆને ઇઝરાયલના વલણની નિંદા કરી છે.
તેમણે એક ટ્વીટ કર્યું, "અમે અલ-અક્સા મસ્જિદ પર ઇઝરાયલના જઘન્ય હુમલાની નિંદા કરીએ છીએ, જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે દરેક રમજાન દરમિયાન આવું કરવામાં આવે છે. તુર્કી પોતાનાં પેલેસ્ટાઇનિયન ભાઈઓ અને બહેનોની સાથે મુશ્કેલ સમયમાં ઊભું રહેશે."
https://twitter.com/RTErdogan/status/1391085032190758924
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ હિંસાની નિંદા કરતાં લખ્યું :
"અલ-અક્સા મસ્જિદ જેના પર ઇઝરાયલે કબજો કરી રાખ્યો છે, ત્યાં નિર્દોષ લોકો પર રમઝાનના મહિનામાં હુમલાની નિંદા કરું છું."
"આ પ્રકારની ક્રૂરતા માનવતા અને માનવઅધિકારના કાયદાઓની ભાવનાની વિરુદ્ધમાં છે. અમે પેલેસ્ટાઇનની સાથે ઊભા છીએ."
https://twitter.com/SMQureshiPTI/status/1391105756603338754
સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પણ હિંસાની નિંદા કરી
સમાચાર સંસ્થા રૉયટર્સ પ્રમાણે, સાઉદી અરેબિયાના વિદેશમંત્રીએ 'અલ અરેબિયા ચેનલ'ને આપેલા નિવેદનમાં કહ્યું, "સાઉદી અરેબિયા ઇઝરાયલ દ્વારા અનેક પેલેસ્ટાઇન પરિવારોને તેમના ઘરોથી બહાર કાઢવાની યોજનાને રદબાતલ કરે છે."
આરબ રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે આ ઘટનામાં રસ દાખવે, જેથી આ વિસ્તારમાંથી કોઈને હઠાવવામાં ન આવે.
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે ઇઝરાયલે કોઈને પણ ત્યાંથી હઠાવવાથી બચવું જોઈએ અને પ્રદર્શનકારીઓની સામે 'બળ પ્રયોગમાં વધારે સંયમ' રાખવો જોઈએ.
શું છે વિવાદ?
અલ-અક્સા મસ્જિદ પરિસર જૂના જેરૂસલેમ શહેરમાં આવેલી છે અને તેને મુસ્લિમોની સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આ જગ્યા પર યહુદીઓનું પવિત્ર મંદિર માઉન્ટ ટૅમ્પલ પણ આવેલું છે.
અહીં પહેલાં પણ હિંસા થતી રહી છે.
શુક્રવારે રાત્રે રમઝાનના છેલ્લા શુક્રવારના અવસરે હજારો લોકો અહીં એકઠા થયા, જે પછી હિંસા શરૂ થઈ.
શુક્રવારનો દિવસ છેલ્લાં અનેક વર્ષોમાં હિંસાની બાબતમાં સૌથી ખરાબ દિવસમાંથી એક રહ્યો.
1967માં મધ્ય પૂર્વ યુદ્ધ પછી ઇઝરાયલે પૂર્વ જેરૂસલેમ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને તે આ શહેરને પોતાની રાજધાની માને છે. જોકે આંતરરાષ્ટ્રીય સમુદાય આનું સમર્થન કરતું નથી.
પેલેસ્ટાઇન પૂર્વ જેરૂસલેમને ભવિષ્યના એક આઝાદ દેશની રાજધાની તરીકે જુએ છે.
છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં તણાવ વધ્યો છે. આરોપ છે કે જમીનના આ ભાગ પર હક મેળવવા માટે ઇઝરાયલ પેલેસ્ટાઇનના લોકોને અહીંથી હઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ઑક્ટોબર 2016માં સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક શાખા યુનેસ્કોના કાર્યકારી બોર્ડે એક વિવાદિત પ્રસ્તાવ પસાર કરીને કહ્યું હતું કે જેરુસલેમમાં રહેલી ઐતિહાસિક અલ-અક્સા મસ્જિદ પર યહુદીઓનો કોઈ દાવો નથી.
યુનેસ્કોની કાર્યકારી સમિતિએ આ પ્રસ્તાવ પાસ કર્યો હતો.
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે અલ-અક્સા મસ્જિદ પર મુસ્લિમોનો અધિકાર છે અને યહુદીઓ સાથે તેનો કોઈ ઐતિહાસિક સંબંધ નથી.
યહૂદી તેને ટૅમ્પલ માઉન્ટ કહી રહ્યા છે અને યહૂદીઓ માટે આ એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો