અફઘાનિસ્તાનમાં હિમપ્રપાતને કારણે 100 લોકોનું મૃત્યુ, ભારતમાં એલર્ટ
છેલ્લા ત્રણ દિવસમાં અફઘાનિસ્તાનમાં હિમપ્રપાતને કારણે 100 લોકોનું મૃત્યુ થઇ ચૂક્યું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ રવિવારે મધ્યમ સ્તરના હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી હતી.
હિમવર્ષા અને હિમપ્રપાત ને કારણે છેલ્લા થોડા દિવસોમાં લોકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારત હોય, પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન, કુદરતના તોફાનથી કોઇ નથી બચ્યું. છેલ્લા ત્રણ દિવસોમાં માત્ર અફઘાનિસ્તાનમાં જ 100 લોકોનું મૃત્યુ થયું છે અને હજુ આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. અફઘાનિસ્તાનના નૂરિસ્તાન પ્રાંતના એક જ ગામના 50 લોકોનું મૃત્યુ થયું છે. અફઘાનિસ્તાનના ડિઝાસસ્ટર મેનેજમેન્ટ એન્ડ હ્યુમેનિટેરિયન અફેર્સના મંત્રીના પ્રવક્તા ઉમર મોહમ્મ્દીએ જણાવ્યું કે, હિમવર્ષાને કારણે 168 ઘરો નાશ પામ્યાં છે અને 340 લોકોનું મૃત્યુ થયું છે.
પાકિસ્તાનમાં પણ હિમપ્રપાત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં ભારે હિમવર્ષા થઇ હોવાના સમાચાર આવ્યા છે. ઘણી જગ્યાઓએ હિમપ્રપાતની ઘટનાઓ પણ થઇ છે, જેને કારણે પાંચ મકાન બરફની નીચે દટાઇ ગયા છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર આ હિમપ્રપાતને કારણે 14 લોકોનું મૃત્યુ થયું છે. ભારે બરફ નીચેથી આ 14 લોકોના શબ કાઢવામાં આવ્યા છે, જેમાં 6 મહિલાઓ, 6 બાળકો અને 2 પુરૂષનો સમાવેશ થાય છે. ભારે હિમવર્ષાને કારણે આ ક્ષેત્રના લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી પણ શરૂ થઇ ચૂકી છે.
અહીં વાંચો - અલીગઢમાં ગર્જ્યા પીએમ મોદી, યુપીમાં કોમી તોફાનો રોજનો કારોબાર
ભારતમાં એલર્ટ
ભારતમાં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં રવિવારે મધ્યમ સ્તરના હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી હતી. રવિવારે સાંજે 5 વાગ્યા બાદ 24 કલાકની અંદર આ હિમપ્રપાત થવાની આશંકા હતી. બરફ અને હિમપ્રપાત અધ્યયન કેન્દ્ર (એસએએસઇ) દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. એસએએસઇ અનુસાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા, બાંદીપુરા, બારામુલા, અનંતનાગ, ગાંદરબલ, કુલગામ, બડગામ, પુંછ, કિશ્તવાડ અને કારગિલ જિલ્લાઓમાં હિમપ્રપાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ જ સમયગાળા માટે મધ્યમ સ્તરની ચેતવણી હિમાચલ પ્રદેશના કુલ્લૂ, ચાંબા, લાહૌલ-સ્પીતિ, મંડી, કાંગડા, સિરમૌર, શિમલા અને કિન્નૌર જિલ્લાઓમાં પણ જાહેર કરવામાં આવી છે.