સીરિયાઃ ડોનાલ્ડ ટ્રંપે કેમિકલ હુમલાનો જવાબ મિસાઇલોથી આપ્યો
સીરિયામાં થયેલ કેમિકલ હુમલા બાદ અમેરિકાએ આ અંગે કાર્યવાહી હાથ ધરતાં સીરિયાના એરબેઝ પર લગભગ એક ડઝન મિસાઇલો છોડી છે.
સીરિયા માં થયેલ કેમિકલ હુમલા બાદ અમેરિકા એ આ અંગે કાર્યવાહી હાથ ધરતાં મોટું પગલું લીધું છે. અમેરિકાએ સીરિયાના એરબેઝ પર લગભગ એક ડઝન મિસાઇલો છોડી છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સીરિયાના એરબેઝ પર અમેરિકા દ્વારા 60 ટોમહૉક ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી છે. સીરિયામાં વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારોમાં થયેલ કેમિકલ હુમલાના જવાબમાં અમેરિકાએ આ ગંભીર પગલું ભર્યું છે.
અમેરિકાની કાર્યવાહી, સીરિયાએ કહ્યું 'આક્રમણ'
અમેરિકાએ સીરિયાના મોટા એરબેઝ તથા રનવેને નિશાન બનાવ્યું છે, ફ્યૂલ ડેપો પણ નષ્ટ કરવામાં આવ્યો છે. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર સીરિયાના એરબેઝને નિશાન બનાવી આ મિસાઇલો છોડવામાં આવી છે. અમેરિકાએ સીરિયાના શાયરત એરબેઝને નિશાન બનાવ્યું છે. અમેરિકાનું અનુમાન છે કે, સીરિયાના ઇડલિબમાં કરવામાં આવેલ કેમિકલ હુમલો શાયરત એરબેઝ પરથી કરવામાં આવ્યો હતો. સીરિયાના સરકારી ન્યૂઝ ચેનલના અહેવાલો અનુસાર, અમેરિકાએ તેમના લશ્કરી વિસ્તારમાં ઘણી મિસાઇલો છોડી છે. તેમણે આ કાર્યવાહીને 'આક્રમણ'નું નામ આપ્યું છે.
રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રંપની આ પહેલી મોટી લશ્કરી કાર્યવાહી છે. પહેલીવાર વ્હાઇટ હાઉસ દ્વારા સીરિયાઇ રાષ્ટ્રપતિ બશર અલ અસદના નજીકની સૈન્ય છાવણીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ હુમલા બાદ દેશની જનતાને સંબોધિત કરતાં ટ્રંપે આ અંગેની જાણકારી આપી હતી.
અહીં વાંચો - સીરિયાઃ કેમિકલ હુમલામાં 100ની મોત, 400થી વધુ ઘાયલ
ટ્રંપે આપી હતી ચેતવણી
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા આ અંગે ચેતવણી આપવામાં આવી હતી. અમેરિકાના રાજદૂત નિકી હેલીએ આ અંગે વૈશ્વિક મંચ પર કાર્યવાહી કરવાની માંગણી કર હતી તથા કહ્યું હતું કે, જો આમાં સફળતા નહીં મળે તો અમેરિકા એકલે હાથ કાર્યવાહી હાથ ધરશે. સીરિયા વિરુદ્ધની આ કાર્યવાહી અંગે વ્હાઇટ હાઉસ તથા પેન્ટાગન વચ્ચે વિસ્તૃત ચર્ચા-વિચારણા પણ થઇ હતી.
મંગળવારે સીરિયામાં વિદ્રોહીઓના કબજા હેઠળના વિસ્તારોમાં લગભગ 40 જેટલા કેમિકલ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં મોટા પાયે જાન-માલની હાનિ થઇ હતી, લગભગ 100 લોકો મૃત્યુ પામ્યા હતા તથા 400 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.