કતારમાં રહેતા તમામ ભારતીય માટે આ છે મહત્વના સમાચાર
દોહા સ્થિત ભારતીય એમ્બસીએ એક એડવાયઝરી જાહેર કરી છે. જાણો આ અંગે વિગતવાર અહીં.
સાઉદી અરબ, યુનાઇટેડ અરબ અમિરેટ્સ અને યમન તથા ઇજિપ્ત દ્વારા કતાર સાથે ડિપ્લોમેટિક સંબંધો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આના કારણે ત્યાં રહેલા ભારતીયોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાવચેતીના પગલે એમિરેટ્સ એરલાઇન્સે પોતાની તમામ ફ્લાઇટ્સ રદ્દ કરી છે. કતારે પણ પોતાની સાઉદી જતી તમામ ફ્લાઇટ સસ્પેન્ડ કરી છે. સાઉદીએ કહ્યું છે કે તે કતાર સાથે જમીન, પાણી કે ફ્લાઇટ્સ દ્વારા કોઇ પણ સંપર્ક નથી રાખવા ઇચ્છતું.
આ પછી દોહા સ્થિત ભારતીય એમ્બસીએ એક એડવાયઝરી જાહેર કરી છે. કતારમાં રહેતા ભારતીયો માટે દૂતાવાસે કહ્યું છે કે તેમને ડરવાની જરૂર નથી અને કોઇ પણ પ્રકારની ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી. એડવાયઝરીમાં કહ્યું છે કે કતારના અધિકારીઓ સાથે મળીને તે ભારતીયોની સુરક્ષા કરી રહ્યા છે. આ એડવાયઝરીમાં ફોન નંબર, ઇ-મેલ અને ટ્વિટર હેન્ડલર પણ આપ્યું છે. જેના દ્વારા ત્યાં હાજર ભારતીયો કોઇ પણ મુશ્કેલીમાં સંપર્ક કરી શકે છે.