સુષ્માએ અધવચ્ચે છોડી સાર્ક દેશોની મીટિંગ તો અકળાઈ ગયુ પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન વચ્ચે રોજે રોજ તણાવી વધી રહ્યો છે. આ દરમિયાન એક નવી ઘટનાએ ઈસ્લામાબાદને ચોંકાવી દીધુ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રોજે રોજ તણાવી વધી રહ્યો છે. આ દરમિયાન એક નવી ઘટનાએ ઈસ્લામાબાદને ચોંકાવી દીધુ છે. ગુરુવારે ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ અસેમ્બલી (ઉંગા) થી અલગ સાર્ક દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ચાલી રહી હતી. આ મીટિંગમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી પણ હાજર હતા. સુષ્મા આ મીટિંગને અધવચ્ચે છોડીને જતા રહ્યા. કુરેશીને આ સમગ્ર ઘટના સમજમાં ના આવી. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે પહેલા અહીં જ મુલાકાત થવાની હતી. પરંતુ ગયા સપ્તાહે જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ત્રણ પોલિસકર્મીઓની હત્યા બાદ ભારતે આ મીટિંગ રદ કરી દીધી હતી.
વચમાં જ મીટિંગ છોડીને જતા રહ્યા સુષ્મા
સુષ્માનું મીટિંગ વચમાં જ છોડીને જતુ રહેવુ પાક વિદેશ મંત્રી કુરેશી માટે ઘણુ ચોંકાવનારુ હતુ. આ મીટિંગમાં નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવાલી પણ હાજર હતા. સુષ્મા સ્વરાજના ગયા બાદ નારાજ શાહ મહેમૂદ કુરેશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ, ‘મારી તેમની સાથે કોઈ વાત થઈ નથી. સકારાત્મક રીતે જો હું કહુ તો તેમની તબિયત સારી નહોતી કદાચ એટલા માટે તે ઉઠીને ચાલ્યા ગયા.' કુરેશીએ એમ પણ કહ્યુ, ‘જો સાર્કના મંચથી દેશોને કંઈક મેળવવુ હોય તો તેમણે આગળ આવવુ પડશે.' કુરેશી મુજબ આગળ વધવા માટે આગામી મુલાકાત નક્કી કરવી પડશે. પાક વિદેશ મંત્રીએ ભારતનું નામ લીધા વિના કહ્યુ કે માત્ર એક જ દેશ સાર્ક દેશોની પ્રગતિ અને સફળતાના રસ્તામાં અવરોધ બની રહ્યુ છે.
આ પણ વાંચોઃ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો
વિદેશ સચિવ હાજર રહ્યા આખી મીટિંગમાં
કુરેશી આટલેથી ના રોકાયા અને તેમણે ભારત પર આરોપ લગાવ્યો કે ભારત હંમેશા સાર્ક દેશો વિશે વાત કરે છે અને જણાવે છે કે આ મંચથી શું મેળવી શકાય છે પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પરિણામ મળ્યુ નથી. ભારતનું વલણ સાર્કના લક્ષ્યોથી એકદમ અલગ છે. પાકિસ્તાન સાર્કની સફળતા જોવા ઈચ્છે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ડિપ્લોમેટ સૂત્રોના હવાલાથી કહ્યુ છે કે આ બહુપક્ષીય મીટિંગ હતી અને સુષ્મા સ્વરાજને ભારત તરફથી નિવેદન આપ્યા બાદ જલ્દી નીકળવાનું હતુ. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે સુષ્મા પહેલા મંત્રી નહોતા જે મીટિંગમાંથી જલ્દી નીકળી ગયા. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી પણ જલ્દી જતા રહ્યા હતા. તેમણે જણાવ્યુ કે સ્વરાજને બીજી પણ મીટિંગમાં ભાગ લેવાનો હતો. સ્વરાજના ગયા બાદ વિદેશ સચિવ વિજય ગોખલે આખી મીટિંગમાં હાજર હતા.
સુષ્માએ આપ્યો પાકને આકરો સંદેશ
ગુરુવારે જે મીટિંગ થઈ જેમાં સુષ્મા તરફથી પાકિસ્તાનને આકરો સંદેશ આપવામાં આવ્યો. સુષ્માએ અહીં કહ્યુ, ‘દક્ષિણ એશિયામાં જોખમ અને ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ માત્ર અમારા ક્ષેત્રમાં જ શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટો ખતરો નથી પરંતુ આખી દુનિયા માટે ખતરો છે. હવે જરૂરી છે કે આપણે આતંકવાદના બધા સ્વરૂપોને આકરો દંડ આપીએ.' સ્વરાજનું આ નિવેદન ઘણુ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઉંગા ઉપરાંત વિદેશ મંત્રી સ્તરની મુલાકાતનો અનુરોધ કર્યો હતો. ભારતે આ મીટિંગનું એલાન કરીને માત્ર 24 કલાકની અંદર તેને રદ કરવાનું એલાન પણ કરી દીધુ હતુ. પાકિસ્તાને વર્ષ 2016 માં માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાની પર થોડા દિવસો પહેલા જ એક પોસ્ટેજ સ્ટેમ્પ જાહેર કરી હતી.
આ પણ વાંચોઃ સબરીમાલા મંદિર, જ્યાં 10 થી 50 વર્ષની મહિલાઓ માટે પ્રવેશ છે વર્જિત