WHOના ચીફ સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યા 4 કારણ, જેના લીધે વધી રહ્યા છે કોરોના કેસ
WHOના ચીફ સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને કોરોના કેસોમાં થઈ રહેલા વધારા માટે ચાર કારણોનો ઉલ્લેખ કર્યો છે. જાણો અહીં.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોનાના ડેલ્ટા વેરિઅંટથી થઈ રહેલા વિનાશ બાદ હવે આનો કહેર દુનિયાના ઘણા દેશોમાં જોવા મળી રહ્યો છે. ભારતમાં એપ્રિલ અને મે મહિનામાં જે સ્થિતિ હતી તે હવે વિદેશોમાં જોવા મળી રહી છે. દુનિયાના મોટાભાગના દેશોમાં ડેલ્ટા વેરિઅંટના પ્રસારના કારણે કોરોનાના નવા કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના ચીફ સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથને પણ એ વાત માની છે કે દુનિયાભરમાં રસીકરણની ધીમી ગતિ અને ડેલ્ટા વેરિઅંટના પ્રસારના કારણે મોટાભાગના દેશોમાં કોરોનાના નવા કેસો ફરીથી વધી રહ્યા છે.
આફ્રિકામાં 30થી 40 ટકા વધ્યો મૃત્યુદર
સૌમ્યા સ્વામીનાથને પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે આફ્રિકામાં છેલ્લા 2 સપ્તાહથી મૃત્યુદરમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. સાથે જ છેલ્લા 24 કલાકની અંદર દુનિયામાં કોરોનાના લગભગ 5 લાખ નવા કેસ આવ્યા છે અને લગભગ 9300 દર્દીઓના મોત થયા છે. એવામાં આ સ્થિતિમાં આપણે એ ન કહી શકીએ તે હવે મહામારીની ગતિ ધીમી પડી રહી છે.
કોરોનાની ગતિના ચાર મુખ્ય કારણ
સૌમ્યા સ્વામીનાથને આ દરમિયાન કોરોના કેસોમાં થઈ રહેલા વધારા માટે ચાર કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યુ કે દુનિયામાં કોરોના કેસોમાં વધારો થવાના કારણો ડેલ્ટા વેરિઅંટ, સોશિયલ ડિસ્ટંસીંગનુ ઉલ્લંઘન, લૉકડાઉનના પ્રતિબંધોમાં આપવામાં આવેલી ઢીલ અને વેક્સીનેશનની ગતિમાં આવેલી કમી છે. સ્વામીનાથને કહ્યુ કે ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરિઅંટ ચોક્કસપણે અત્યાર સુધી જોવામાં આવેલો કોવિડ-19નો સૌથી ભયાનક અને ખતરનાક વેરિઅંટ છે. તેમણે જણાવ્યુ કે આ વેરિઅંટથી સંક્રમિત વ્યક્તિ ત્રણ લોકોને એકસાથે સંક્રમિત કરી શકે છે.