પેશાવર એરપોર્ટ પર બંદૂકધારીઓનો પ્લેન પર હુમલો
પેશાવર, 25 જૂન : પાકિસ્તાનના પેશાવરના બાચ્છાખાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની ઇન્ટરનેશનલ ફ્લાઇટની લેન્ડિંગ સમયે બંદૂકધારીઓએ હુમલો કરી દીધો હતો. પ્લેન પર થયેલા ગોળીબારમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો ફ્લાઇટ લેન્ડિંગ સમયે એરપોર્ટની પાસે જ સંતાયેલા હતા.
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)ના વિમાન બોઇંગ ફ્લાઇટ પીકે-756 પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર દરણિયાન આ વિમાનમાં 178 મુસાફરો સવાર હતા. આ વિમાન સાઉદી અરબના રિયાદથી યાત્રીઓને લઇને પેશાવર આવી રહ્યું હતું. પ્લેન જે સમયે લેન્ડિંગ કરી રહ્યું હતું તે સમયે તેના પર ગોળીઓ ચલાવવામાં આવી રહી હતી.
આ હુમલા અંગે પીઆઇએના પ્રવક્તા મસુદ તાજવરે જણાવ્યું છે કે તેમની પાસે ગોળીબારમાં બે લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. જેમાં વાજિદ અને ઇજાજ નામના બે ફ્લાઇટ સ્ટુઅર્ટનો સમાવેશ થાય છે. પોલીસના એક અધિકારીએ શંકા વ્યક્ત કરી છે કે હુમલાખોરો એરપોર્ટ પાસે આવેલા એક રહેણાંક વિસ્તારમાં સંતાયેલા હતા. ગોળી ત્યાંથી ચલાવવામાં આવી હતી.
વાજિદનું કહેવું છે કે વિમાન 250થી 300 ફૂટની ઊંચાઇ પર હતું ત્યારે વિમાનના પાછલા હિસ્સાને નિશાન બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. સદનસીબે કેપ્ટન તારિક ચોધરીએ વિમાનને સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતાર્યું હતું.જેના કારણે મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી. વાજિદના પગમાં ગોળીઓ વાગી છે. તેણે જણાવ્યું કે ગોળીઓ પાસેના તેહકાલ વિસ્તારમાંથી ચલાવવામાં આવી રહી હતી.
વાજિદના સહકર્મી ઇજાજને ત્રણ ગોળીઓ વાગી છે. તેને પેશાવરના કમ્બાઇન્ડ મિલિટ્રી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે. તેમનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન પેશાવર વિમાન મથક પર તત્કાલ આવાગમન રોકીને કુઆલાલુમ્પુરથી પેશાવર તરફ આવી રહેલી ફ્લાઇટ્સને લાહોર વિમાન મથક તરફ વાળી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ હુમલાખોરોને પકડવા માટે તલાશી અભિયાન શરૂ કરી દીધું છે.