બહરીનમાં રાહુલ: ભારત સંકટમાં છે, તમે દેશને ઉગારી શકો છો
બહરીન પહોંચેલ રાહુલ ગાંધીએ એનઆરઆઇ કાર્યક્રમમાં કર્યું સંબોધન કહ્યું, ભારત સંકટમાં છે, તમારા સાથની જરૂર છે આ અંગે વધુ વાંચો અહીં...
સોમવારે રાહુલ ગાંધી બહરીનની એક દિવસીય મુલાકાતે હતા, જ્યાં તેમણે એનઆરઆઇ સંબંધિત એક સભાનું સંબોધન કર્યું હતું. અહીં તેમણે કહ્યું કે, ભારત સંકટમાં છે અને તમે જ એને સંકટમાંથી ઉગારી શકો છો. મને તમારો સાથ જોઇએ છે. ગ્લોબલ ઑર્ગેનાઇઝેશન ઓફ પીપુલ ઓફ ઇન્ડિયા ઓરિજિન તરફથી આયોજીત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે આ વાતો કહી હતી. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ આ રાહુલ ગાંધીની પ્રથમ વિદેશ યાત્રા હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું અહીં તમને એ જણાવવા આવ્યો છું કે, તમે લોકો દેશ માટે કેટલા મહત્વપૂર્ણ છો. વર્તમાન સમયમાં દેશમાં ગંભીર સમસ્યાઓ છે અને તમે લોકો જ એ સમસ્યાના ઉકેલનો એક ભાગ છો. અહીં ઊભેલા તમામ લોકો એ વાતની સાબિતી આપે છે કે, ભારત તેની સામે આવેલ દરેક પ્રકારના પડકારને પાર કરી શકે છે.
રાહુલે આગળ કહ્યું કે, તમારા વિના ભારત માટે કોઇ વૈશ્વિક દ્રષ્ટિકોણ ન બનાવી શકાય. આપણે સૌ મળીને ભારતની સાચી શક્તિ પાછી મેળવી શકીએ છીએ, આપણે ભારતને અહિંસા અને કરુણાનું કેન્દ્ર બનાવવાનું છે. દેશમાં આ સમયે રોજગાર આઠ વર્ષના નિમ્ન સ્તરે છે. રોજગાર ઊભો કરવા, વિશ્વ સ્તરીય શિક્ષણ પૂરું પાડવા, ગરીબી નાબુદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ આપણે દેશને અલગાવની વાત કરતી શક્તિઓ તરફ લઇ જઇ રહ્યાં છીએ. ભારત સરકાર આ સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ બેરોજગાર યુવાઓના મનમાં નફરતની ભાવના ઉત્પન્ન કરવામાં વ્યસ્ત છે. આપણે આ પડકારો સામે લડવાનું છે. આ લડાઇ તમારા વિના જીતી શકાય એમ નથી. આ આપણા પ્રિય આદર્શો પાછા લાવવાની, તમારા નિખાલસતા, કૌશલ્ય, પ્રતિભા, સહિષ્ણુતા અને દેશભક્તિની લડાઇ છે, જેની આજે ભારતમાં જરૂર છે.