10 વર્ષની સજા સાંભળ્યા બાદ બોલ્યા નવાઝઃ ‘હું પાકિસ્તાન પાછો આવુ છું'
શુક્રવારે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના કારણે 10 વર્ષની સજા મેળવનાર પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યુ છે કે તે કોઈ ચોર નથી અને જલ્દી તે પાકિસ્તાન પાછા આવશે.
શુક્રવારે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના કારણે 10 વર્ષની સજા મેળવનાર પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે કહ્યુ છે કે તે કોઈ ચોર નથી અને જલ્દી તે પાકિસ્તાન પાછા આવશે. નવાઝની માનીએ તો તે જેલમાંથી સંઘર્ષ ચાલુ રાખશે. નવાઝ અને તેમની પુત્રી મરિયમ હાલમાં લંડનમાં છે જ્યાં નવાઝની પત્ની કુલસુમ નવાઝનો કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો છે. પુત્રી મરિયમને કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી છે. જે સમયે નવાઝ આ વાત કરી રહ્યા હતા તેમની પુત્રી મરિયમ તેમની પાસે બેઠી હતી. પાકની કોર્ટે બંનેને ભ્રષ્ટાચારના ચાર કેસમાંથી એક એવેનફીલ્ડ ભ્રષ્ટાચાર કેસમાં સજા સંભળાવી છે. આ કેસ હેઠળ શરીફ પરિવાર પર લંડનના પૉશ વિસ્તારમાં ચાર ફ્લેટ્સ હોવાના આરોપ સિદ્ધ થયા છે.
ચૂંટણીના ત્રણ સપ્તાહ પહેલા આવ્યો ચૂકાદો
નવાઝે કહ્યુ કે જેલમાંથી તેમની લડાઈ, તેમનો સંઘર્ષ ચાલુ રહેશે. નવાઝને લંડનમાં મોંઘી સંપત્તિ ખરીદવાના દોષી માનવામાં આવ્યા છે અને તેમને સજા સંભળાવવામાં આવી છે. તેમના વકીલ મોહમ્મદ ઔરંગઝેબે આ જાણકારી આપી. સામા પક્ષના વકીલ સરદાર મુઝફ્ફર અબ્બાસે કહ્યુ કે કોર્ટે આ સંપત્તિની તપાસ કરવાનુ કહ્યુ છે. પાકિસ્તાનમાં 25 જુલાઈના રોજ ચૂંટણી થવાની છે અને આ ચૂંટણીના ત્રણ સપ્તાહ પહેલા કોર્ટે આ મહત્વનો ચૂકાદો આપ્યો છે. નવાઝની પત્ની કુલસુમને ગળાનું કેન્સર છે અને ગયા વર્ષે ઈલાજ માટે યુકે ગયા હતા. ત્યારથી જ નવાઝ અને મરિયમ બંને ઘણી વાર લંડન ગયા છે.
કોર્ટ રૂમમાં સાંભળવા ઈચ્છતા હતા ચૂકાદો
નવાઝ ઈચ્છતા હતા કોર્ટ આ ચૂકાદો એક સપ્તાહ મોડો સંભળાવે પરંતુ કોર્ટે તેમની આ અપીલને ફગાવી દીધી હતી. શરીફે કહ્યુ કે તે ઈચ્છતા હતા કે કોર્ટ આ ચૂકાદો તે જ કોર્ટ રૂમમાં સાંભળે જ્યા પોતાની પુત્રી સાથે તે 100 થી વધુ વાર સુનાવણીમાં શામેલ થઈ ચૂક્યા છે. કોર્ટે બંનેને સજા આપવા ઉપરાંત ભારે દંડ પણ ફટકાર્યો છે. નવાઝને દંડ તરીકે 10 મિલિયન ડૉલર ભરવાના રહેશે જ્યારે પુત્રી મરિયમને પણ 2.6 મિલિયન ડૉલર ભરવાના રહેશે. કોર્ટનો ચૂકાદો 100 થી વધુ પાનાંનો છે.