
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી, શાહબાઝ શરીફ બનશે PM
ઇસ્લામાબાદ, 10 એપ્રીલ : પાકિસ્તાનમાં એક મોટો રાજકીય ફેરબદલ થયો છે, જ્યાં વિપક્ષે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ એસેમ્બલી (સંસદ) માં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેના પર મોડી રાત્રે મતદાન થયું હતું. આ વોટિંગમાં વિપક્ષને 174 વોટ મળ્યા, જે બાદ ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી. હવે શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે. વિપક્ષી દળો તેમને રવિવાર અથવા સોમવારના રોજ શપથ ગ્રહણ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે રવિવારની બપોરે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.
સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું
આવા સમયે ઈમરાન ખાન અને તેમની પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવને રોકવા માટે એક મોટું નાટક કર્યું હતું. પહેલા તો સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ન થવા દીધું હતું, જે બાદ ઈમરાને સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. સ્પીકર સતત વોટિંગ સ્થગિત કરી રહ્યા હતા, જેના કારણે પાકિસ્તાનના ચીફ જસ્ટિસે રાત્રે 12 વાગ્યા સુધીમાં કોર્ટ ખોલવાનો આદેશ આપ્યો હતો. આ સાથે સમાચાર આવ્યા કે, જો રાત્રે 12 વાગ્યા પહેલા વોટિંગ નહીં થાય તો સુપ્રીમ કોર્ટ ઈમરાન ખાન, સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકરની ધરપકડનો આદેશ આપી શકે છે. આ પછી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સરકાર જતા પહેલા જ ઈમરાન વડાપ્રધાનના નિવાસસ્થાનેથી નીકળી ગયા
જેના પર પણ વિપક્ષે હાર ન માની, તેઓએ નેશનલ એસેમ્બલીમાં PMLN સાંસદને સ્પીકરનો હવાલો આપી દીધો હતો. જે બાદ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો અને તેના પર મતદાન શરૂ થયું હતું. વોટિંગ પહેલા ઈમરાન ખાને પોતાના સાંસદો સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ઈમરાન વિરુદ્ધ 174 વોટ પડ્યા હતા, જે બાદ તેમની સરકાર પડી ગઈ હતી. આવા સમયે, સરકાર જતા પહેલા જ ઈમરાન વડાપ્રધાનના નિવાસસ્થાનેથી નીકળી ગયા હતા. હવે તે પોતાના ખાનગી આવાસમાં રહે છે.
ઈસ્લામાબાદમાં હાઈ એલર્ટ
આવા સમયે ઇસ્લામાબાદમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે ત્યાં જનારા તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. નેશનલ એસેમ્બલીમાં વોટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે ઈમરાનની પાર્ટીના કાર્યકર્તાઓએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.