ઇરાનમાં હિંસાનું વાતાવરણ, 10 પ્રદર્શનકર્તાનું મૃત્યુ
ઇરાનમાં સરકાર વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સમગ્ર દેશમાં હિંસા જોવા મળી છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં લોકો ભ્રષ્ટાચાર અને મોંઘવારી વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે
ઇરાનમાં સરકાર વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સમગ્ર દેશમાં હિંસા જોવા મળી છે. દેશના અલગ-અલગ વિસ્તારોમાં લોકો ભ્રષ્ટાચાર અને મોંઘવારી વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે અને સરકાર પ્રદર્શનકર્તાઓને નિયંત્રણમાં લેવા માટે દમનકારી નીતિઓનો પ્રયોગ કરી રહી છે. ગત અઠવાડિયે મંગળવારે આંદોલન શરૂ થયું હતું, જે ધીરે-ધીરે ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે. રવિવારે 2 લોકોનું મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ સોમવારે અન્ય બે પ્રદર્શનકર્તાઓ પોલીસની ગોળીનો શિકાર બન્યા છે. સરકાર અનુસાર, અત્યાર સુધીમાં 4 લોકોનું મૃત્યુ થયું છે, પરંતુ ઇરાનના નેશનલ ટીવી અનુસાર આ આંદોલનમાં 10 લોકોનું મૃત્યુ થયું છે. ઇરાનમાં વર્ષ 2009 પછીનું સરકાર વિરુદ્ધનું આ અત્યાર સુધીનું સૌથી ઉગ્ર આંદોલન માનવામાં આવી રહ્યું છે.
ઇરાનના અર્ધ-સરકારી આઈએલએનએ સમાચાર એજન્સિને સાંસદ હેદયાતુલ્લાહ ખાદેમીએ કહ્યું હતું કે, સરકારની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે એક પ્રદર્શન દરમિયાન રવિવારે બે લોકોનું મૃત્યુ થયું હતું. ઇરાનના લગભગ 15મોટા શહેરમાં ચાલી રહેલ પ્રદર્શનમાં મંગળવારથી લઇને અત્યાર સુધીમાં 10 પ્રદર્શનકર્તાઓનું મૃત્યુ થયું છે. ખાદેની અનુસાર, આ લોકોના મૃત્યુ એકસાથે નથી થયાં, દેશમાં અલગ-અલગ સ્થાને થઇ રહેલ હિંસાના પરિણામે તેમનું મૃત્યુ થયું છે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ આ અંગે કહ્યું કે, આંદોલન અને પ્રદર્શન કરવાનો અધિકાર સૌને છે, પરંતુ જેઓ હિંસા ફેલાવી રહ્યાં છે, તેમને છોડવામાં નહીં આવે. સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડનારાઓ અને સમાજમાં અરાજકતા ફેલાવવાવાળાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉગ્ર રૂપ ધારણ કરી રહેલ આંદોલનને અટાકાવવા માટે ઇરાનની સરકારે સોશ્યલ મીડિયા પર સંપૂર્ણ બેન મુક્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર રોક લગાવવામાં આવી છે. સરકાર અનુસાર, બહારના તત્વો આ આંદોલનને હવા આપવાનું કામ કરી શકે છે. તો બીજી બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી પ્રદર્શનકર્તાઓનું સમર્થન કર્યું છે.