લંડનમાં આતંકી હુમલો, 7 લોકોનું મૃત્યુ, ISISએ લીધી જવાબદારી
લંડનમાં ફરી થયો આતંકી હુમલો,ISISએ લીધી હુમલાની જવાબદારી
બ્રિટનના લંડનમાં ફરી એકવાર આંતકવાદી હુમલો થયો છે. શનિવારે રાત્રે લંડનની ત્રણ મુખ્ય જગ્યાઓએ હુમલો થયો હતો, જેમાં 7 લોકોનું મૃત્યુ થયું છે. ત્રણ અલગ-અલગ ઘટનાઓથી લંડન શહેર લગભગ ધ્રુજી ઉઠ્યું હતું. આતંકી સંગઠન આઇએસઆઇએસ એ આ હુમલાની જવાબદારી લીધી છે. પોલીસે કાર્યવાહી કરતાં ત્રણ હુમલાખોરોને ઠાર માર્યા છે.
પહેલો હુમલો પ્રસિદ્ધ લંડન બ્રિજ પર થયો હતો, જ્યાંક નિયંત્રણ વિનાની ગાડીએ પગપાળા ચાલી રહેલ લોકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે તથા 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બીજો હુમલો બરો માર્કેટમાં થયો હતો, જ્યાં એક સંદિગ્ધ વ્યક્તિએ ધારદાર ચપ્પુથી લોકો પર હુમલો કર્યો હતો. ત્રીજો હુમલો થયો વૉક્સહૉલના એક રેસ્ટોરન્ટમાં. પોલીસ આ ત્રણેય ઘટનાઓ એકબીજા સાથે સંબંધિત હોવાનું માની રહી છે. કહેવાઇ રહ્યું છે કે, જે વાને લંડન બ્રિજ પર લોકોને ટક્કર મારી, તેમાં ત્રણ લોકો હતા અને તેમના હાથમાં 12 ઇંચ લાંબુ ચપ્પુ હતું.
આ હુમલા બાદ લંડનના મેચર સાદીક ખાને લોકોને માત્ર અધિકૃત જાણકારી પર જ વિશ્વાસ કરવાની વિનંતી કરી છે. તેમણે લોકોને કહ્યું છે કે, લોકો અફવા પર ધ્યાન ન આપે અને ધીરજ રાખે.
તો બીજી બાજુ, જેહાદી ગ્રુપે સોશિયલ મીડિયા પર આ હુમલાની જીતની ઉજવણી કરી છે. આ પહેલાં 23 મેના રોજ પણ રાત્રે 1 વાગ્યે માન્ચેસ્ટરમાં સિંગર એરિનાના મ્યૂઝિક કોન્સર્ટમાં આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 19 લોકોનું મૃત્યુ થયું હતું અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે પણ આઇએસઆઇએસ ના સમર્થકોએ સોશિયલ મીડિયા પર આ વાતે ખુશી વ્યક્ત કરી હતી.
ડોનાલ્ડ ટ્રંપે વ્યક્ત કર્યું દુઃખ
આ ઘટના બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને બ્રિટિશ સરકારને દરેક સંભવિત મદદ આપવાની વાત કરી છે. આ ઘટના બાદ લંડનની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે તથા અંડરગ્રાઉન્ડ ટ્રેન સ્ટેશન પણ બંધ કરવામાં આવ્યા છે.