ISISએ સદ્દામનો રાસાયણિક હથિયારોનો પ્લાન્ટ કબ્જે કર્યો, ગુજરાત નિશાના પર
બગદાદ, 23 જૂન : ઇરાકમાં આતંકનો કોહરામ મચાવનારા ISIS આતંકવાદી જૂથે સદ્દામ હુસૈનના જુના કેમિકલ વેપન પ્લાન્ટ (રાસાયણિક હથિયાર સંયંત્ર) પર પોતાનો કબ્જો જમાવી દીધો છે. આ પ્લાન્ટમાં અત્યારે પણ મોટી સંખ્યામાં રાસાયણિક હથિયારો રાખવામાં આવેલા છે. જેને કારણે ભારત અને પાકિસ્તાન પર જોખમ વધ્યું છે.
આ અંગે ઇરાકના અધિકારીઓનું કહેવું છે કે કોઇએ આ બાબતથી ગભરાવાની જરૂર નથી. કારણ કે આ પ્લાન્ટમાં જૂના, ક્ષિતગ્રસ્ત અને દૂષિત હથિયારોનો જ ભંડાર બચ્યો છે. જેને ઉપયોગમાં લેવો શક્ય નથી. આ સાથે અધિકારીઓએ વિશ્વાસપૂર્વક એવું પણ જણાવ્યું છે કે આતંકવાદીઓ એ ભંડારની મદદથી નવા રાસાયણિક હથિયારો બનાવશે એ પણ શક્ય નથી.
જો કે ઇરાકની અધિકારીઓની વાતને જો આઇએસઆઇએસના અધિકારીઓએ ખોટી સાબિત કરી તો તે માત્ર ઇરાક નહીં પણ વિશ્વના અન્ય દેશો માટે પણ ખતરનાક સાબિત થશે. આ યાદીમાં ભારતનો નંબર પણ આગળ છે. આ આતંકવાદી જૂથે દરેક દેશો માટે વિવિધ યોજનાઓ વિચારી રાખી છે. તે અંતર્ગત ભારતમાં તેની નજર ઉત્તર અને પશ્ચિમી ભારત પર છે. જેમાં ગુજરાતના કેટલાક ભાગોનો પણ સમાવેશ થાય છે.
આ રાસાયણિક હશિયારોનો ઉપયોગ કરવામાં આતંકવાદીઓ સફળ રહ્યા તો વિનાશ કેવો હશે તેની કલ્પના પણ કંપારી છોડાવે તેવી છે. આતંકવાદીઓ પાસે સેંકડો ટન પ્રમાણમાં બિન વપરાયેલ સરીન, તેલ અને ધાતક ગેસનો જથ્થો છે. જેનો ઉપયોગ આગામી સમયમાં તેઓ પોતાના અભિયાનને સફળ બનાવવામાં કરશે. વળી આઇએસઆઇએસના આતંકવાદીઓ અલકાયદા સાથે પણ જોડાયેલા હોવાની બાતમી છે. જો આ હથિયારો અલકાયદા પાસે પહોંચી ગયા તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત પર જોખમ છે.
બગદાદથી 60 કિલોમીટર ઉત્તરમાં આવેલા સદ્દામના મુથન્ના કોમ્પ્લેક્સમાં બનેલા કેમિકલ પ્લાન્ટને જપ્ત કર્યા બાદ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લિવેન્ટ (આઇએસઆઇએસ) પોતાના નાપાક ઇરાદાઓને કેવી રીતે અંજામ આપે છે તેનાથી દરેક દેશોની સરકાર ચિંતામાં છે.