જમાલ ખાશોગીની હત્યા કેસ : સાઉદીના યુવરાજે પત્રકાર ખાશોગીની હત્યાની મંજૂરી આપી હતી : અમેરિકાનો રિપોર્ટ
અમેરિકાના ગુપ્તચર વિભાગના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે સાઉદી અરેબિયાના યુવરાજ સલમાન બિન મોહમ્મદે જ નિર્વાસનમાં રહી રહેલાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા કરી દેવાની મંજૂરી આપી હતી.
બાઇડન વહીવટીતંત્રએ શુક્રવારે ગુપ્ત રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સાઉદી યુવરાજે આ યોજના પર પોતાની સહમતી આપી હતી જે હેઠળ અમેરિકામાં રહી રહેલાં પત્રકાર જમાલ ખાશોગીને જીવિત પકડવાનો અથવા તેમની હત્યા કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
અમેરિકાએ પહેલી વખત ખાશોગીની હત્યા માટે સીધી રીતે સાઉદી ક્રાઉન પ્રિન્સનું નામ લીધું છે, જોકે સાઉદી યુવરાજ આ વાતને નકારે છે કે તેમણે જમાલ ખાશોગીની હત્યાના આદેશ આપ્યા ન હતા.
વર્ષ 2018માં સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની ઇસ્તંબુલ સ્થિત સાઉદી વાણિજ્ય દૂતાવાસની અંદર હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે તે કેટલાંક વ્યક્તિગત દસ્તાવેજ મેળવવા માટે વાણિજ્ય દૂતાવાસની અંદર ગયા હતા.
જમાલ ખાશોગી સાઉદી સરકારના ટીકાકાર તરીકે ઓળખાય છે.
અમેરિકાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, “અમારું અનુમાન છે કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઇસ્તંબુલમાં એક ઑપરેશનની મંજૂરી આપી જેનો ઉદ્દેશ્ય સાઉદી પત્રકાર જમાલ ખાશોગીને જીવિત પકડવાનો અથવા મારી નાખવાનો હતો.”
વર્ષ 2018માં જ અમેરિકાના ગુપ્તચર વિભાગ સીઆઈએને સંપૂર્ણ વિશ્વાસ હતો કે સાઉદી ક્રાઉન પ્રિન્સે જ જમાલ ખાશોગીની હત્યાના આદેશ આપ્યા હતા પરંતુ આ પહેલા આજ સુધી અમેરિકાના અધિકારીઓએ સાર્વજનિક રીતે ક્યારેય નહોતું કહ્યું કે ખાશોગી ની હત્યામાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સામેલ હતા.
એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન પોતાના પહેલાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીએ સાઉદી અરેબિયામાં માનવાધિકાર અને કાયદાઓના શાસન પ્રત્યે આકરી નીતિ અપનાવશે.
જોકે સાઉદી અરબ મધ્ય-પૂર્વમાં અમેરિકાનું એક જૂનું અને મહત્ત્વપૂર્ણ સહયોગી છે.
વ્હાઇટ હાઉસ અનુસાર ગુરુવારે બાઇડને સાઉદી અરબના બાદશાહ શાહ સલમાન સાથે ફોન પર વાત કરી હતી અને એ વાત પર જોર આપીને કહ્યું હતું કે અમેરિકા વિશ્વમાં માનવાધિકાર અને કાયદાના શાસનને કેટલું મહત્વ આપે છે.
સમાચાર એજન્સી રૉયટર્સે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે બાઇડન વહીવટીતંત્ર સાઉદી અરબ પાસેથી હથિયારોના કરારને રદ્દ કરવા પર વિચાર કરી રહ્યું છે. હથિયારોના કરારે માનવ અધિકારની ચિંતાઓને વધારી હતી અને આ કારણ બાઇડન વહીવટીતંત્ર ભવિષ્યમાં હથિયારોના વેચાણને પોતાની સુરક્ષા માટે જરૂરી હથિયાર સુધી સીમિત રાખવા પર વિચાર કરી રહ્યું છે.
સાઉદી અરબે હાલ સુધી અધિકૃત રીતે એમ જ કહ્યું છે કે પત્રકાર ખાશોગીની હત્યા સાઉદી અરબના એજન્ટોએ કરી દીધી પરંતુ તેમને માત્ર એટલું કહીને મોકલવામાં આવ્યા હતા કે તેમને ખાશોગીનું અપહરણ કરીને સાઉદી અરબ લાવવાના હતા.
સાઉદીની એક અદાલતે આ કેસમાં પાંચ લોકોને પહેલાં જ ફાંસીની સજા સંભળાવી હતી પરંતુ ગત સપ્ટેમ્બર અદાલતે તેમની સજાને 20 વર્ષની કેદની સજામાં ફેરવી હતી.
2019માં યુએનના એક વિશેષ અધિકારી એગ્નેસ કૈલામાર્ડે સાઉદી સરકાર પર જાણીજોઈને પૂર્વ નિર્ધારિત યોજનાબદ્ધ રીતે ખાશોગીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાઉદી સરકારના કેસને ન્યાયની વિરુદ્ધ ગણાવ્યો હતો.
- જમાલ ખાશોગીની હત્યા અને ઍપલ વૉચના રેકૉર્ડનું 'રહસ્ય'
- ભારત-ચીન સરહદે તણાવ છતાં બંને દેશ વચ્ચેનો વેપાર કઈ રીતે વધ્યો?
ખાશોગીની હત્યા કેવી રીતે થઈ?
59 વર્ષના સાઉદી પત્રકાર ઑક્ટોબર 2018માં ઇસ્તંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસની ઑફિસ ગયા હતા જ્યાં તેમને પોતાના વ્યક્તિગત દસ્તાવેજ લેવાના હતા. તે દસ્તાવેજોના આધારે તે પોતાની તુર્કીની ફિયાન્સે હતીત જેંગ્ગિઝ સાથે લગ્ન કરી શકે.
કથિત રીતે એવું માનવામાં આવી રહ્યું હતું કે ક્રાઉન પ્રિન્સના ભાઈ પ્રિન્સ ખાલિદ બિન સલમાને તેમને આશ્વાસન આપ્યું હતું કે તુર્કીમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં જવું ખૂબ જ સુરક્ષિત હશે.
પ્રિન્સ ખાલિદ આ સમયે અમેરિકામાં સાઉદી અરબના રાજદૂત હતા. જોકે પ્રિન્સ ખાલિદ આ વાતને માનવાથી નકારે છે કે તેમનો પત્રકાર ખાશોગી સાથે કોઈ પ્રકારનો સંપર્ક થયો હતો.
સાઉદી અરબના વકીલો અનુસાર શરૂઆતના સંઘર્ષ પછી ખાશોગીને વિપુલ પ્રમાણમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને ડ્રગના ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
આ પછી તેમના મૃત શરીરના ટુકડા ટુકડા કરી નાખવામાં આવ્યા અને સાઉદી દૂતાવાસની બહાર હાજર એસ સ્થાનિક સૂત્રને તેમનું શરીર આપી દેવામાં આવ્યું. જોકે ખાશોગીનો મૃતદેહ આજ સુધી મળ્યો નથી.
તુર્કીના ગુપ્તચર વિભાગે પોતાની પાસે આ હત્યાકાંડ દરમિયાન થયેલી વાતચીતનો ઑડિયો રેકૉર્ડિંગ હોવાનો દાવો કર્યો હતો અને પછી તુર્કીએ આ ઑડિયો ક્લિપને સાર્વજનિક કરી દીધી હતી જે પછી લોકોને આની જાણકારી મળી.
એક સમયે ખાશોગી સાઉદી શાહી પરિવારના ખૂબ જ નજીકના હતા અને તેમના સલાહકાર હતા પરંતુ પછી તેમના સંબંધ ખરાબ થઈ ગયા હતા અને તે વર્ષ 2017માં અમેરિકા જતા રહ્યા ત્યાં નિર્વાસનમાં રહેવા લાગ્યા.
અમેરિકાથી જ તેઓ વૉશિંગટન પોસ્ટમાં એક માસિક કૉલમ લખતા હતા જેમાં તે સાઉદી ક્રાઉન પ્રિન્સની નીતિઓની ટીકા કરતા હતા.
પોતાની પહેલી કૉલમમાં ખાશોગીએ લખ્યું હતું કે તેમને એ વાતનો ડર હતો કે અસહમતીને દબાવવાના પ્રયત્નોમાં પણ તેમની ધરપકડ કરી શકાય છે, જેની દેખરેખ તેમના મુજબ ક્રાઉન પ્રિન્સ પોતે કરી રહ્યા હતા.
https://www.youtube.com/watch?v=xcZMbFvcbL8
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો