લાહોરમાં લગ્ન કરનારી કિરણબાલા મામલો એક મહિનામાં ઉકેલવાનો કોર્ટનો આદેશ
વૈશાખી પર્વ મનાવવા પાકિસ્તાન ગઈ અને પછી ત્યાં જઈને ઈસ્લામ ધર્મ અંગીકાર કરી નિકાહ કરી લેનાર ભારતીય શીખ મહિલાનો કેસ પાકિસ્તાનની કોર્ટે એક જ મહિનાની અંદર ઉકેલવાનો આદેશ આપ્યો છે.
વૈશાખી પર્વ મનાવવા પાકિસ્તાન ગઈ અને પછી ત્યાં જઈને ઈસ્લામ ધર્મ અંગીકાર કરી નિકાહ કરી લેનાર ભારતીય શીખ મહિલાનો કેસ પાકિસ્તાનની કોર્ટે એક જ મહિનાની અંદર ઉકેલવાનો આદેશ આપ્યો છે. હવે એક મહિના પછી જ નક્કી થશે કે આ મહિલા પાકિસ્તાન રહેશે કે પછી ભારત પાછી આવશે. 31 વર્ષની ભારતીય શીખ મહિલા કિરણબાલાના વિઝા અને નાગરિકતાના મુદ્દે ભારત અને પાકિસ્તાન ગૂંચવાયા છે. કિરણબાલા વૈશાખી મનાવવા પાકિસ્તાન ગયેલા ભારતીય ગ્રુપનો હિસ્સો હતી.
કિરણે લખ્યો પાક વિદેશ મંત્રાલયને પત્ર
લાહોરમાં એક મુસ્લિમ શખ્સ સાથે લગ્ન કર્યા બાદ તેણે પાકિસ્તાન ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો અને પોતાના વિઝાની તારીખ લંબાવવા માંગ કરી હતી. કિરણનું કહેવું હતું કે ભારત પરત ફર્યા બાદ તેના જીવને જોખમ થઈ શકે છે. કિરણે લાહોર હાઈકોર્ટમાં નાગરિકતા અને વિઝા લંબાવવાની અરજી પણ કરી દીધી હતી. લગ્ન બાદ તેણે પોતાનું નામ બદલીને આમના બીવી કરી દીધું હતું. હવે કોર્ટે ગૃહ મંત્રાલયને આદેશ આપ્યો છે કે કિરણબાલાના વિઝા છ માસ માટે લંબાવી શકાય કે નહિ તે અંગે તે જલ્દી નિર્ણય લે. જણાવવામાં આવી રહ્યું છે કે કિરણ વૈશાખીના પર્વ નિમિત્તે પંજાબના હોશિયારપુરથી પાકિસ્તાનના નનકાના સાહિબમાં દર્શન કરવા ગયેલા ગ્રુપમાં સાથે હતી. પરંતુ ત્યાં તેણે તે ગ્રુપ છોડી દીધું અને 16 એપ્રિલે લગ્ન કરી લીધા. તેણે 21 એપ્રિલે ભારત પાછા આવવાનું હતું. કિરણબાલાએ ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં અરજી કરી લાહોરના મોહમ્મદ આઝમ સાથે નિકાહ કબૂલ કરી લીધા. તે 10 મી એપ્રિલે પાકિસ્તાન માટે નીકળી હતી, હવે તે કહે છે કે 21 એપ્રિલે ભારત પાછા આવતા ગ્રુપ સાથે તે પાછી નહિ આવે. કિરણના ધર્મ પરિવર્તન મામલે લાહોરની મસ્જિદના મૌલવી રગીબ નઈમીએ પુષ્ટિ આપી છે.
ત્રણ બાળકોની માતા છે કિરણ
કિરણના સસરા તરસેમ સિંહે જણાવ્યું કે કિરણ હંમેશા ઈન્ટરનેટ પર વ્યસ્ત રહેતી હતી. તે કેવી રીતે અને ક્યારે એક પાકિસ્તાનીના સંપર્કમાં આવી તેની કોઈ જાણકારી નથી. પરંતુ શક્ય છે કે તે ફેસબુકના માધ્યમથી પાકિસ્તાની યુવકને મળી હશે. તે પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતી હોવાની તરસેમ સિંહને શંકા છે. પતિના મોત બાદ તે હિમાચલપ્રદેશમાં એક બિસ્કિટ ફેક્ટરીમાં કામ કરવા લાગી હતી. ત્યારબાદ ઘરેથી જ તે સિલાઈનું કામ કરીને ગુજરાન ચલાવતી હતી. અચાનક તે ગુમસુમ રહેવા લાગી. તેની દુનિયા મોબાઈલ સુધી સિમિત થઈ ગઈ. કિરણના સસરા તરસેમ સિંહ હાલમાં ગુરુઘરમાં પ્રમુખ ગ્રંથી છે. તેમણે જણાવ્યું કે કિરણબાલા બાળકોને એમ કહીને ગઈ હતી કે તે દર્શન કરીને ઘરે પાછી આવી જશે. ભરોસો થયા બાદ જ તેણે પોતાની વહુને એસજીપીસીના અધિકારીઓને સુપ્રત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ તેની સુરક્ષાની જવાબદારી લે છે. તેઓ સુરક્ષિત રીતે તેને ઘરે પાછી લાવશે.
જણાવવામાં આવે છે કે કિરણબાલાના પિતાનું નામ મનોહરલાલ છે. તરસેમ સિંહે જણાવ્યું કે વર્ષ 2005 માં તેના મોટા દીકરા નરિંદરસિંહ સાથે કિરણબાલાના પ્રેમ લગ્ન થયા હતા. કિરણબાલાને બે પુત્ર અને એક પુત્રી છે. સૌથી મોટી દીકરી ઈન્દ્રજીત કૌર(12), એક 8 વર્ષનો પુત્ર અર્જૂનસિંહ અને સૌથી નાનો દીકરો ગુરમુખસિંહ 6 વર્ષનો છે. નરિંદરનું 2015 માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયુ હતું. પતિના મૃત્યુ બાદ કિરણ પોતાની સાસરીમાં જ રહેતી હતી.