Maldives Emergency : પૂર્વ રાષ્ટ્રપતિ સમેત અનેક લોકોની ધરપકડ
માલદીપમાં આવ્યું છે રાજનૈતિક સંકટ. ત્યાંના રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી 15 દિવસ માટે દેશમાં કટોકટી જાહેર કરી છે. જાણો આ કટોકટો પાછળ શું કારણ જવાબદાર રહ્યું છે. અહીં.
માલદીપમાં રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને પોતાના દેશમાં કટોકટી જાહેર કરી દીધી છે. કટોકટી લાગુ થયા પછી પોલીસ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ સમેત અનેક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. માલદીવ મીડિયા મુજબ માલદીપના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમને કટોકટીની થોડી વાર પછી જ પકડવામાં આવ્યા છે. મૌમૂન અબ્દુલ ગયૂમ 80 વર્ષના છે અને 30 વર્ષ સુધી માલદીવના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. મૌમૂન અબ્દૂલ ગયૂમની પત્ની મુજબ પૂર્વ રાષ્ટ્રપતિને રાજધાની માલેમાં આવેલા તેમના ઘરથી ધરપકડ કરીને લઇ જવામાં આવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને 15 દિવસ માટે કટોકટી જાહેર કરી છે. નોંધનીય છે કે માલદીવ હાલ રાજનૈતિક સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. માલદીપના કાનૂન મુજબ કટોકટી પછી સુરક્ષા બળો કોઇ પણ વ્યક્તિને શંકાના આધારે પકડી શકે છે. માલદીપમાં સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે પણ ગતિરોધ અને વિવાદ ચાલી રહ્યો છે. આ બીજી વખત છે જ્યારે યામીને દેશમાં કટોકટી લાગુ કરી છે.
આ પહેલા તેમણે નવેમ્બર 2015માં કટોકટી જાહેર કરી હતી. માલદીવના સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદને આતંકવાદના તમામ આરોપોથી મુક્ત કર્યા હતા. અને તે આ મામલે નિર્દોષ છે તેમ જણાવ્યું હતું. સાથે જ તમામ રાજનૈતિક કેદીઓને મુક્ત કરવાની વાત પણ કરી હતી. કોર્ટના આ નિર્ણય પછી માલદીપમાં રાજનૈતિક તોફાન આવ્યું હતું. કોર્ટના આ નિર્ણય પછી નશીદના સમર્થકોને નારેબાજી કરી હતી અને રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીનને તાત્કાલિક રાજીનામું આપવાની વાત કરી હતી. જો કે જે બાદ સ્થિતિ સંભાળવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. રવિવારે નશીદ અને બીજા કેદીઓને મુક્ત કરવામાં સરકાર દ્વારા ના પાડતા અનેક લોકો રસ્તા પર આવી ગયા હતા. અને તે પછી સત્તા બચાવવા ત્યાં કટોકટી જાહેર કરવામાં આવી તેમ મનાય છે.