ચીન અનુસાર, ભારતમાં વધી રહ્યો છે, 'હિંદુ રાષ્ટ્રવાદ'
ચીની મીડિયાનું કહેવું છે કે, ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન નીતિ જોખમમાં છે.
ભારત અને ચીન વચ્ચેના સંબંધો છેલ્લા ઘણા સમયથી વણસ્યા છે. ચીને આ માટે ભારતમાં વધતા હિંદુ રાષ્ટ્રવાદને કારણભૂત ગણાવ્યું છે. ચીન અનુસાર, ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન નીતિ જોખમમાં છે. જેને કારણે ભારતને કોઇ પણ ક્ષણે યુદ્ધનો સામનો કરવો પડી શકે છે. ચીન અનુસાર, ભારત દેશની રાષ્ટ્રીય તાકાત ચીન કરતાં ઓછી છે, ભારતીય રાજનેતા આ તાકાત ઊભી કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
પીએમ મોદીએ પણ કર્યો હિંદુ રાષ્ટ્રવાદનો ઉપયોગ: ચીન
ચીનના સરકારી અખબાર, ગ્લોબલ ટાઇમ્સમાં આવેલ એક લેખ અનુસાર, ભારત અને ચીન વચ્ચે યુદ્ધની વધતી સંભાવનાઓ માટે જવાબદાર છે ભારતમાં ઝડપથી વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદ. 'ભારતમાં વધતો હિંદુ રાષ્ટ્રવાદ' આ નામ સાથે જ અખબારમાં લેખ પ્રકાશિત થયો છે, જેના લેખક છે યૂ નિંગ. તેમણે લખ્યું છે, 'ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન હિંદુ રાષ્ટ્રવાદનો ઉપયોગ ઇંધણ તરીકે કર્યો હતો, તેમણે દેશમાં આ રાષ્ટ્રવાદી ભાવનાઓને હવા આપી છે. જો આ ધાર્મિક રાષ્ટ્રવાદ હદથી વધારે વધ્યો તો મોદી પણ કંઇ નહીં કરી શકે, કારણ કે વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી મુસ્લિમો પર થતી હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યાં છે.' આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે પણ હિંદુ રાષ્ટ્રવાદનો લાભ ઉઠાવ્યો છે અને આ રાષ્ટ્રવાદ જ ભારતને ચીન વિરુદ્ધ યુદ્ધ કરવાની દિશામાં ધકેલી રહ્યો છે.