પાક.એ આતંકી બુરહાનને કહ્યો શહીદ, ભારતે આપ્યો સણસણતો જવાબ
બુરહાન વાની પાકિસ્તાને શહીદ કહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પાકિસ્તાને ફરી એકવાર પોતાના કારનામાથી એ સાબિત કરી દીધું છે કે, તેમના મનમાં કંઇક બીજું છે અને તેઓ બોલે છે કંઇ બીજું. થોડા સમય પહેલાં જમ્મુ-કાશ્મીરના ઘાટીમાં એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલ આતંકવાદી બુરહાન વાની તો સૌને યાદ જ હશે. આ આતંકીની વરસી પર પાકિસ્તાને તેને હીરોની માફક રજૂ કર્યો છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ પર બુરહાનના વખાણ કરતાં લેખો છપાયા છે. તો બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે બુરહાનને શહીદ ગણાવતાં કહ્યું કે, બુરહાનના મૃત્યુએ ઘાટીમાં ચાલતા 'આઝાદીના સંઘર્ષ'માં પ્રાણ પૂરવાનું કામ કર્યું છે. પાકિસ્તાનના આ કારનામાની ભારતે ઘોર નિંદા કરી છે.
|
ભારતે કરી નિંદા
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવકતા ગોપાલ બાગલેએ પાકિસ્તાનની નિંદા કરતાં ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, પહેલા તો પાકિસ્તાનની ફોરેન ઓફિસમાં પ્રતિબંધિત લશ્કર-એ-તોયબાની સ્ક્રિપ્ટ વાંચવામાં આવી, હવે પાકના સીઓએએસ(પાકિસ્તનના સેના પ્રમુખ) બુરહાન વાનીની મહિમા ગાઇ રહ્યાં છે. પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરી તેને પ્રોત્સાહિત કરી રહ્યું છે, આ બાબતે સૌએ તેની નિંદા કરવી જોઇએ.
નવાઝ શરીફ
નવાઝ શરીફે કહ્યું કે, ભારત બુરહાન જેવા વીરોને મારીને કાશ્મીરના લોકોનો અવાજ દબાવી નહીં શકે. તેમણે કહ્યું કે, બુરહાન વાનીના મૃત્યુથી કાશ્મીરના સ્વતંત્રતાના આંદોલનમાં નવો પ્રાણ ફુંકાયો છે. પાકિસ્તાનના લાહોરમાં 'યૂથ ફોરમ ફોર કાશ્મીર'ના યુવાઓએ પણ બુરહાનને હીરો ગણાવતાં પોસ્ટર્સ અને ભારત વિરોધી નારા સાથે રેલી કાઢી હતી.
સુરક્ષા દળો અને પ્રદર્શનકર્તાઓની અથડામણ
એટલું જ નહીં, ભારતના કાશ્મીરમાં પણ આતંકવાદી બુરહાન વાનીની પહેલી વરસીને દિવસે હોબાળો થયો હતો. શનિવારના રોજ કાશ્મીરના ઘાટીમાં 10થી વધુ સ્થળોએ સુરક્ષા દળો અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ હિંસાને કારણે અધિકારીઓએ શ્રીનગરના જૂના સ્થળો તથા બુરહાનના નિવાસ સ્થાન ત્રાલમાં કરફ્યુ લગાવી દીધો હતો. ઘાટી નજીકના તમામ જિલ્લા મુખ્યાલયોમાં પણ કરફ્યુ લગાવવામાં આવ્યો હતો.
20થી વધુ પથ્થરબાજોની ધરપકડ
સુરક્ષા દળોએ 20થી વધુ પથ્થરબાજોની ધરપકડ કરી હતી. શનિવારે કાશ્મીરના આ તમામ વિસ્તારોમાં અર્ધસૈનિક બળો, કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ) અને પોલીસનું પેટ્રોલિંગ વધુ કડક અને ઝડપી કરવામાં આવ્યું હતું. જો કે, ઘાટીના કોઇ પણ વિસ્તારમાં કોઇ પથ્થરબાજ કે સુરક્ષા કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હોવાની ખબર નથી.
આતંકવાદી બુરહાન વાની
ઉલ્લેખનીય છે કે, બુહરાન વાની આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર હતો. ગત વર્ષે 9 જુલાઇના રોજ ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમા તેનું મૃત્યુ થયું હતું. આ આતંકવાદીને હવે પાકિસ્તાન શહીદ અને આઝાદીના સંઘર્ષમાં પ્રાણ પુરનાર હીરો તરીકે રજૂ કરી રહ્યું છે.