મુંબઇ 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ ફરશે આઝાદ?
26/11નો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ હવે મુક્ત રીતે ફરી શકશેતેની નજરબંધી ખસેડવનો કોર્ટે લીધો નિર્ણયઆ અંગે વધુ વાંચો અહીં...
લાહોર હાઇકોર્ટ દ્વારા હાફિઝ સઇદની નજરબંધી સમાપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાફિઝ સઇદના આવવા-જવા પર જે પ્રતિબંધો હતા એ ગુરૂવારે સમાપ્ત થાય એવી શક્યતા છે. આ પહેલા પાકિસ્તાનની પંજાબ પ્રાંતની સરકારે મંગળવારે ન્યાયિક સમીક્ષા બોર્ડ સામે આ અંગે અરજી કરી હતી. પંજાબ સરકાર બોર્ડે કહ્યું હતું કે, જો હાફિઝ સઇદની નજરબંધી ખસેડવામાં આવી તો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક ખોટો સંદેશો જશે અને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમાજ તરફથી અનેક પ્રકારના પ્રતિબંધોનો સામનો કરવો પડે એવી શક્યતા છે. મુંબઇના 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદ અંગે પાકિસ્તાન સરકાર હવે ચિંતિત છે.
પંજાબ સરકારે હાફિઝ સઇદની નજરબંધી હજુ ત્રણ મહિના સુધી યથાવત રાખવાની પરવાનગી માંગી છે. પંજાબના ગૃહ મંત્રાયલે પણ કહ્યું છે કે, જો હાફિઝ સઇદને સ્વતંત્ર કરવામાં આવ્યો તો પાકિસ્તાન પર અનેક પ્રકારના પ્રતિબંધ લાગી શકે છે. હાફિઝની ધરપકડ ગુપ્ત તપાસની રિપોર્ટને આધારે કરવામાં આવી હતી. અમારી પાસે તેની વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવાઓ છે, જે તેની નજરબંધીને યોગ્ય ઠરાવે છે. મંગળવારે કડક સુરક્ષા વચ્ચે હાફિઝ સઇદને ન્યાયિક બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હાફિઝના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટના પરિસરમાં હાજર હતા અને તેઓ હાફિઝ સઇદના પક્ષમાં નારા લગાવતા તેને તુરંત છોડવાની માંગણી કરી રહ્યાં હતા. ગત મહિને જ બોર્ડ દ્વારા હાફિઝ સઇદની નજરબંધી 30 દિવસ માટે લંબાવવામાં આવી હતી.