Rohingya અંગે પોસ્ટ કર્યો વીડિયો, બ્યૂટી ક્વીનનો તાજ છીનવાયો
રોહિંગ્યા મુસલમાનો પર વીડિયો પોસ્ટ કરવાની મળી સજા, મ્યાનમારની સુંદરીનો ખિતાબ પાછો ખેંચાયો.
મ્યાનમારની બ્યૂટી ક્વીન શ્વે ઇયાન શીનો તાજ પાછો લઇ લેવામાં આવ્યો છે. મિસ ગ્રાન્ડ મ્યાનમાર શીનું કહેવું છે કે, તેમણે દેશમાં રોહિંગ્યા મુસલમાનોની પરિસ્થિતિ માટે મુસ્લિમ કટ્ટરપંથીઓને જવાબદાર બતાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, આ કારણે તેમનો બ્યૂટી ક્વીનનો તાજ પાછો લઇ લેવામાં આવ્યો હતો. આ ગ્રાફિક વીડિયોમાં રખાઇન રાજ્યમાં થયેલ સાંપ્રદાયિક હિંસા માટે મુસ્લિમ રોહિંગ્યા ચરમપંથીઓને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.
રવિવારે પરત લેવાયો તાજ
રવિવારે સૌંદર્ય સ્પર્ધા આયોજિત કરતી સંસ્થાએ જાહેરાત કરી હતી કે, શ્વે ઇયાન શીએ કરારનો નિયમ તોડતાં તેમનો ખિતાબ પાછો લેવામાં આવી રહ્યો છે. સંસ્થાએ પોતાના નિવેદનમાં શી એ રોહિંગ્યા અંગે કરેલ પોસ્ટનો કોઇ ઉલ્લેખ નથી કર્યો.
ફેસબૂક પર જણાવ્યું સાચું કારણ
જો કે, શી અનુસાર તેમનો ખિતાબ પાછો લેવા પાછળ એ વીડિયો પોસ્ટ જ જવાબદાર છે. શી એ મંગળવારે એક પેસબૂક પોસ્ટમાં આ અંગે કહ્યું કે, તેમણે સંસ્થા સાથેનો કોઇ કરાર નથી તોડ્યો, આ આરોપ ખોટો છે અને રોહિંગ્યા અંગે પોસ્ટ કરેલ વીડિયોને કારણે તેમનો તાજ પરત લેવાયો છે એમ પણ લખ્યું હતું.
ગત અઠવાડિયે પોસ્ટ કર્યો હતો વીડિયો
શી એ ગયા અઠવાડિયે રોહિંગ્યા અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ગ્રાફિક વીડિયોમાં રોહિંગ્યા મુસલમાનોને હિંસા માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે તથા તેઓ કેમ્પેન ચલાવી પોતાને પીડિત તરીકે રજૂ કરતા હોવાનું કહેવામાં આવ્યું છે. રોહિંગ્યા મુસલમાનોનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં ચર્ચાઇ રહ્યો છે અને હાલ મ્યાનમાર માટે આ અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.
મ્યાનમારની થઇ નિંદા
મ્યાનમારના રખાઇન રાજ્યમાં રહેતા મુસલમાનો છેલ્લા કેટલાક સમયથી અન્ય દેશમાં શરણું લઇ રહ્યાં છે. મ્યાનમારની સેના પર રોહિંગ્યાઓની હિંસા, હત્યા અને રોહિંગ્યા મહિલાઓના બળાત્કારનો આરોપ છે. ચર્ચાનું કેન્દ્ર બનેલા આ મુદ્દે લોકો મ્યાનમારની નિંદા કરી રહ્યાં છે. વૈશ્વિક નિંદાને ધ્યાનમાં રાખતાં મ્યાનમારના અધિકારીઓએ આ અભિયાનનો બચાવ કર્યો છે અને તેમની કાર્યવાહીને રોહિંગ્યા મુસલમાનો સામેની જવાબી કાર્યવાહીનું નામ આપવામાં આવ્યું છે. મ્યાનમારના અધિકારીઓ અનુસાર, રોહિંગ્યા ચરમપંથીઓ દ્વારા ગત મહિને પોલીસ મથકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જે પછી તેમણે જવાબી કાર્યવાહી કરી હતી.