ISISની દસ્તક બાંગ્લાદેશમાં, ISISની આડમાં અલકાયદાએ કરી હત્યા!
ઢાકા: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી જે ખબર આવી રહી છે, તે ખરેખર ચોંકાવનારી અને ડરાવનારી પણ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઇટલીના એક નાગરિકની હત્યા બાદ ISISએ તેની જવાબદારી લીધી છે.
બાંગ્લાદેશમાં જાન્યુઆરીથી લઇને અત્યારસુધી 4 બ્લોગરની હત્યા થઇ ચૂકી છે. અને દરેક વખતે અલકાયદા તેની જવાબદારી લે છે. આ પહેલી વખત બની રહ્યું છે ISISની હાજરી આ રીતે અનુભવાઇ રહી છે. બાંગ્લાદેશમાં ISISએ પોતાની હાજરી આ રીતે નોંધાવીને અનેક સવાલ ઉભા કરી દીધા છે. ઇટલીના 50 વર્ષીય સી.તાવેલા નામના જે નાગરિકની હત્યા કરી નાખવામાં આવી છે, તે એક એડ વર્કર તરીકે કામ કરતો હતો.
બાંગ્લાદેશમાં ISISની દસ્તક
ઇરાક અને સિરીયા પર કબ્જો કર્યા બાદ હવે બાંગ્લાદેશમાં પણ ISISએ દસ્તક દીધી છે. અહીં રાજધાની ઢાકાના સખત સુરક્ષા વાળા વિસ્તારમાં એક ઇટાલિયન નાગરિકની હત્યાના સમાચાર છે. અને હત્યા બાદ તેની જવાબદારી ISISએ લીધી છે.
શું અલકાયદાને કમજોર કરવાની કોશિષ?
શું આ માત્ર એક દાવો છે કે જેનાથી અલ કાયદા અને અંસરૂલ્લા બાંગ્લાદેશ ટીમ એટલે કે ABTને બહાર કરી શકાય? મહત્વપૂર્ણ છેકે બાંગ્લાદેશમાં અલકાયદાએ ABT સાથે ટીમ બનાવી છે. અલકાયદા અને ABT ફતવા બહાર પાડીને આ દેશને મુસ્લીમ દેશ બનાવવા માંગી રહ્યાં છે. જેથી બાંગ્લાદેશમાં ISISને એક સુવર્ણ તક નજર આવી રહી છે જેથી તે અહીં પણ પોતાનું સામ્રાજ્ય બનાવવાની પૂરી કોશિષ કરી રહ્યું છે.
અફઘાનિસ્તાનમાં ISIS લોકપ્રિય અને શક્તિશાળી
અફઘાનિસ્તાનમાં ISIS લોકપ્રિય હોવાની સાથે શક્તિશાળી પણ છે. સુરક્ષા વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આ ક્ષેત્રમાં ISIS તાલિબાનને બહાર કરવા માટે ખુદને સ્થાપિત કરવાની વેતરણમાં છે.
કયા દેશમાં ISISની કોની સાથે ભાગીદારી
બાંગ્લાદેશમાં ISISનો કોઇ મોટો ભાગીદાર નથી. તો પાકિસ્તાનમાં ISISને તહેરીકે તાલીબાન, તહેરીકે ખિલાફત, અને ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉજબેકિસ્તાન સપોર્ટ કરી રહ્યાં છે. અફઘાનિસ્તાનના ખોરોસમમાં ISISને હીરોઝ આફફ બ્રિગેડ અને અલ તવાહીદ સપોર્ટ કરી રહ્યાં છે. તો ભારતમાં અંસાર ઉલ તવાહીદ કે જે ઇન્ડીયન મુઝાહુદ્દીનનો જ એક ભાગ છે, તે સપોર્ટ કરી રહ્યું છે.
એજન્સીઓનું ધ્યાન ભટાકવવાની રણનિતી
બની શકે છે કે બાંગ્લાદેશમાં ISISને ABT અને અલકાયદાના અસંતુષ્ટોનું સમર્થન મળી રહ્યું હોય. બ્લોગર્સની હત્યા બાદથી જ ABT એન્જસીઓના નિશાના પર છે.
બાંગ્લાદેશ સરકારની કાર્યવાહી
બાંગ્લાદેશ સરકારે એજન્સીઓને ABTની વિરૂદ્ધમાં તેવી જ કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે, જેવી જમાત ઉલ મુઝાહુદ્દીનની વિરૂદ્ધ કરવામાં આવી હતી. જો કે હાલમાં ABT આ હત્યાઓ અંગે જવાબદારી નથી લઇ રહ્યું કારણ કે તેનાથી તેની મુશ્કેલીઓ વધી શકે છે. અને એટલે બની શકે કે ISIS પર આ હત્યાઓની જવાબદારી નાખીને એજન્સીઓનું ધ્યાન ભટકાવવાની કોશિષ કરવામાં આવી હોય.
ભારતમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી
આ તાજા ઘટનાના સમાચાર બાદ ભારતમાં દિલ્હીમાં આવેલા ઇઝરાયેલ તેમજ અન્ય દેશોના દુતાવાસની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.