NRIsને રાહત, GAARનું અમલીકરણ વર્ષ 2016 સુધી મુલતવી
આ અંગે કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે GAARનો હેતુ કરચોરીને રોકવાનો છે, પણ હવે તેને એપ્રિલ, 2016 સુધી મુલતવી રાખી દેવામાં આવ્યો છે. આ નિર્ણય શોમ કમિટીએ સરકારને કરેલી ભલામણને આધારે લેવામાં આવ્યો છે. જેના કારણે એનઆરઆઇને આગામી ત્રણ વર્ષ સુધી મોટી રાહત મળી છે.
પી. ચિદમ્બરમે એમ પણ કહ્યું કે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા દેશમાં કરાતા મૂડીરોકાણ પર હમણા GAAR લાગુ પાડવામાં નહીં આવે. ત્રણ કરોડ રૂપિયા સુધીની ટેક્સ રાહત લેનારા રોકાણકારો પર જ GAAR અમલી બનશે. આ ઉપરાંત ઈન્કમ ટેક્સની કલમ 90 (એ) અંતર્ગત રાહત લેનાર એફઆઈઆઈ (વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરો)ને પણ GAARના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
બીજી સારી વાત એ છે કે ટેક્સ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની તપાસ શરૂ કરતા પહેલા પાર્ટીને કારણદર્શક નોટિસ મોકલવી. સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી એફઆઈઆઈમાં આનંદની લહેર ફરી વળી છે.