દેશ થયો નારાજઃ યુવીના વ્હારે આવ્યા સદીના મહાનાયક
મુંબઇ, 9 એપ્રિલઃ ટી20 વિશ્વકપ 2014ની ફાઇનલ મેચ રવિવારે યોજાઇ હતી. આ મેચમાં ભારતનો નાલેશીભર્યો પરાજય થયા બાદ દોષનો ટોપલો ટીમના એક સમયના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ પણ ઢોળી દેવામાં આવ્યો છે. નિશ્ચિંતપણે યુવરાજે ફાઇનલ મેચમાં ઘણી જ ધીમી બેટિંગ કરી હતી, જેના કારણે તેની ટીકા કરવી યોગ્ય છે, પરંતુ જે રીતે દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે, તેને લઇને માત્ર ક્રિકેટ જગત જ નહીં પરંતુ બૉલીવુડ પણ હતાશ થયું છે.
યુવરાજ સિંહે 21 બોલમાં 11 રન કર્યા હતા, જે તેના ધુઆંધાર અંદાજથી એકદમ વિપરિત હતું, પરંતુ ફાઇનલમાં હાર માટે માત્ર યુવરાજને જ જવાબદાર ના ઠેરવી શકાય તેવો અવાજ પણ કેટલાક ક્રિકેટ વિશ્લેષકોએ ઉઠાવ્યો છે, પરંતુ ભારતમાં ક્રિકેટ ઘણી રસપ્રદ ગેમ છે, જેને લઇને દેશભરમાં ગુસ્સો અને નારાજગી જોવા મળે એ સ્વાભાવિક છે, છતાં હાર માટે યુવરાજને જવાબદાર ઠેરવીને તેના ઘર પર જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો તેનો વિરોધ બૉલીવુડે પણ કર્યો છે. બૉલીવુડ પહેલા ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેડુંલકર, મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહ, યુવરાજના વ્હારે આવ્યા હતા અને કહ્યું હતું કે એ દિવસ યુવરાજનો નહોતો. સચિને કહ્યું હતું કે યુવરાજની બેટિંગની ટીકા કરી શકાય પરંતુ એવું ના કહી શકાય કે તેની રમત ખતમ થઇ ગઇ છે.
સચિન તેંડુલકરે યુવરાજને સંદેશો પાઠવ્યો હતો અને કહ્યું હતું કે તુ ફરીથી તારી લડાયક શૈલીમાં પરત ફરીશ અને ટીકાકારોને જવાબ આપીશ, હુ અને મારા જેવા અનેક ક્રિકેટ ચાહકો તને 2015ના વિશ્વકપમાં રમતો જોવા ઇચ્છે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે બૉલીવુડની કઇ-કઇ હસ્તીએ યુવરાજ સિંહને સમર્થન કર્યું છે.
અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું કે, ફાઇનલમાં તેમનો દિવસ સારો નહોતો. એ દુઃખદ છે કે આ મેચ વિશ્વકપ ફાઇનલ હતી. તે આજે પણ મહાન ખેલાડી છે અને આપણે હવે આગળ વધવું જોઇએ.
મધુર ભંડારકર
તેમણે કહ્યું કે કોણ છે એ મુર્ખ કે જેમણે યુવીના ઘર પર પથ્થરો ફેંક્યા છે, માત્ર એટલા માટે કે આપણે મેચ હારી ગયા છીએ. આપણે ભૂલી ગયા કે આ એ જ યુવરાજ છે, જેણે આપણને બે વાર વિશ્વકપમાં જીત અપાવી છે.
ડીનો મોરિયા
અભિનેતા ડીનો મોરિયાએ પણ યુવરાજ સિંહનું સમર્થન કર્યું છે, તેણે કહ્યું છે કે આ લોકોએ હવે પરિપક્વ થવાની જરૂર છે. જ્યારે ભારત જીતે છે તો આપણે તેને આસમાને પહોંચાડી દઇએ છીએ અને હારે છે તો આપણે ટીકાઓનો વરસાદ કરી દીએ છીએ. આ માત્ર એક ગેમ છે અને આપણે એ વાતને સમજવી જોઇએ.
શોભા ડે
કોલમિસ્ટ અને લેખક શોભા ડેએ કહ્યું છે કે, જે લોકોએ યુવરાજના ઘર પર પથ્થરો ફેંક્યા છે, તેમની આ હરકત શરમજનક છે.
વરૂણ ધવન
વરૂણ ધવને લખ્યું છે કે, યુવીએ આપણને વિશ્વકપ જીતાડ્યા છે, તેણે આપણને ત્યારે પણ ખુશી આપી જ્યારે તે કેન્સર સામે લડી રહ્યો હતો. લોકો કેવી રીતે એ વાતને ભૂલી શકે છે.
અરબાઝ ખાન
અરબાઝ ખાને કહ્યું કે, યુવી એક મેચ વિનર છે. ફાઇનલ મેચનો દિવસ તેનો નહોતો. તે આજે પણ એક શાનદાર ખેલાડી છે, આપણે આગળ વધવું જોઇએ.