HappyBday: હું એ દેશનો નિવાસી છું,જ્યાં સચિન તેંડુલકર રહે છે
સચિન તેંડુલકરે ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હોય, પરંતુ દરેક ક્રિકેટ પ્રેમીના મનથી આજે પણ તેઓ ક્રિકેટના ભગવાન છે.
ભારતીય ક્રિકેટ નો એક એવો ચહેરો, જેને દુનિયા સચિન તેંડુલકર તરીકે જાણે છે અને ભારતીયો ક્રિકેટના ભગવાન તરીકે. આજે 24 એપ્રિલના રોજ તેઓ 44 વર્ષનાં થઇ ગયા છે. ભારત રત્ન સચિન તેંડુલકરે ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હોય, પંરતુ તેઓ આજે પણ દરેક ક્રિકેટ પ્રેમીના મનમાં વસે છે. સચિન માત્ર હાથમાં બેટ લઇ મેદાન પર નથી ઉતરતાં, પરંતુ આ કારણે તેમની લોકપ્રિયતામાં ઘટાડો નથી થયો અને ના તો તેઓ ક્રિકેટથી દૂર થયાં છે.
હું એ દેશનો રહેવાસી છું...
સચિન તેંડુલકરનું વ્યક્તિત્વ અદભૂત છે. ક્રિકેટના મેદાન પર કે મેદાનની બહાર તેઓ ક્યારેય પણ લોકોને અભિભૂત કરવામાં નિષ્ફળ નથી ગયાં. સચિન તેંડુલકરની વિનમ્રતા તેમનો સૌથી મોટો સદગુણ છે. વર્ષ 2014માં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ગર્વ સાથે કહ્યું હતું, 'હું એ દેશનો રહેવાસી છું, જ્યાં સચિન તેંડુલકર રહે છે.' ભારતનો દરેક વ્યક્તિ અમિતાભના આ વાક્ય સાથે સંમત થયા વગર નહીં રહી શકે.
ક્રિકેટ કરિયર
સચિન તેંડુલકરનું ક્રિકેટ કરિયર 22 વર્ષથી પણ વધુ લાંબુ રહ્યું છે અને આટલા લાંબા કાર્યકાળ દરમિયાન પણ તેઓ પોતાની છબી સાફ રાખવામાં સફળ રહ્યાં છે. તેમની પાસે અનેક એવોર્ડ્સ અને મેડલ હશે, આમ છતાં ક્રિકેટ પ્રત્યેની તેમની પ્રમાણિકતા, મહેનત અને તેમના સ્વભાવની વિનમ્રતામાં ક્યારેય ઓટ નથી આવી.
સર ડૉન બ્રેડમેન સાથે સરખામણી
સચિને માત્ર 16 વર્ષની ઉંમરથી જ ભારત માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ક્રિકેટમાં રમાતા દરેક શોટ સચિનને હાથવગા છે, એમ કહેવાતું. આ કારણે જ ભારતના આ સચિન રમેશ તેંડુલકરને સર ડૉન બ્રેડમેન સાથે સરખાવવામાં આવતા.
યુવાઓના આદર્શ
આ કારણે જ પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ એકવાર કહ્યું હતું, યુવાઓ માટે સચિનથી વધુ શ્રેષ્ઠ આદર્શ કોઇ ન હોઇ શકે. ભારત જેવા દેશમાં, જ્યાં ક્રિકેટરો પર ખૂબ દબાણ હોય છે, એ દબાણ તેમણે ખૂબ સારી રીતે સહન કર્યું છે. તેમણે મેદાન પર અને મેદાનની બહાર પોતાના વ્યવહારથી જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે, તે ખરેખર અનુકરણીય છે.
હું ભાગ્યશાળી છું, કે મારો જન્મ ભારતમાં થયો છે
સચિનને જ્યારે ભારત રત્નનું સન્માન મળ્યું ત્યારે તેમણે કહ્યું હતું, હું ખૂબ ભાગ્યશાળી છું, કે મારો જન્મ ભારતમાં થયો છે. હું લોકોનો આભારી છું, કે તેમણે આટલા લાંબા સમય સુધી મને પ્રેમ અને સમર્થન આપ્યું.
સાંઇ બાબાના ભક્ત
સચિન પુટ્ટાપર્થીના સાંઇ બાબાના બહુ મોટા ભક્ત છે. સચિનની વાતો પર તેમની ઘણી અસર જોવા મળે છે, તેમના મૃત્યુ સમયે સચિન નાના બાળકની માફક રડી પડ્યાં હતા. ત્યારે કહેવાતું હતું કે, સચિને સાંઇ બાબાના કહેવાથી જ વાંકડિયા વાળ રાખ્યા છે.
5 વર્ષ મોટી ડૉ.અંજલિ સાથે પ્રેમલગ્ન
સચિને પોતાના કરતાં 5 વર્ષ મોટી ડૉ.અંજલિ સાથે પ્રેમલગ્ન કર્યાં છે. તેમના બે બાળકો છે, સારા અને અર્જુન. સેલિબ્રિટી કપલ્સમાં સચિન અને અંજલિને મેડ ફોર ઇચ અધર કહેવાય છે.
ચેમ્પિયન્સ ઘણા મળશે, બીજો સચિન નહીં મળે
સચિન તેંડુલકરે ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ વિશ્વના પ્રમુખ અખબારોમાંથી એક ટાઇમ એ લખ્યું હતું, સચિન મહાન હતા, છે અને રહેશે.. સચિન તો એવો મૂલ્યવાન હીરો છે, જેની આગળ સમય પણ નતમસ્તક થયો છે. સમય કોઇના માટે નથી થોભતો, પરંતુ સચિન તેંડુલકરે સમયને પણ પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખ્યો હતો. આપણને ચેમ્પિયન્સ મળશે, આપણને મહાન ખેલાડીઓ પણ મળશે, પરંતુ ક્યારેય બીજો સચિન તેંડુલકર નહીં મળે. સાચે જ સચિન તેંડુલકર જેવું કોઇ નથી અને ના તો કોઇ થઇ શકે છે.
Happy Birthday Sachin!
ભારતીય ક્રિકેટના ભારત રત્ન સચિન તેંડુલકરને વનઇન્ડિયા પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
અહીં વાંચો
આઇપીએલના ઇતિહાસમાં જ્યારે સચિન તેંડુલકર માટે પરંપરા તોડાઇ!
આઇપીએલના ઇતિહાસમાં પહેલી વાર કંઇક એવું બન્યું છે, જે ભૂલાવી શકાય એમ નથી. સચિનના તમામ ચાહકો જરૂર વાંચે આ લેખ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો