SA vs IND મેચ પહેલાં કપ્તાન કોહલીનું મોટું નિવેદન
ચેમ્પિયન્સ ટ્રોફી 2017 મેચ પ્રિવ્યુ ભારત વિ. દક્ષિણ આફ્રિકા
રવિવારે રમાનાર ભારત-દ.આફ્રિકા વચ્ચેની મેચ સેમિફાઇનલ પહેલાની ક્વોર્ટર ફાઇનલ કહી શકાય. ટીમ ઇન્ડિયા આ મેચ જીતવાનો પૂરો પ્રયત્ન કરશે, જે ટીમ જીતશે એના સેમિફાઇનલમાં એન્ટ્રી મળશે. શ્રીલંકા સામેની મેચ હાર્યા બાદ હવે ભારત માટે આ મેચ જીતવી વધુ જરૂરી છે. દ.આફ્રિકા પણ પોતાની પાછલી મેચ પાકિસ્તાન સામે હારી ચૂક્યું છે.
વિરાટ કોહલીનું નિવેદન
દ.આફ્રિકા સામેની મેચમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી પર વધુ દબાણ રહેશે. આ પહેલાં વિરાટ કોહલીએ મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ કહ્યું કે, હાલની પરિસ્થિતિને જોતાં ટીમમાં મોટું પરિવર્તન કરવામાં આવશે. ટીમ ફોર્મમાં છે. આથી અમે નેચરલ ગેમ રમીશું. યુવરાજ અંગે વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું કે, યુવરાજ અંગે હું વ્યક્તિગત રૂપે કહી શકું, કે તે ફાઇટર છે. યુવરાજે ભારત માટે ઘણું કર્યું છે. જ્યારે પણ જરૂર પડી, યુવરાજે પોતાને પ્રૂવ કર્યો છે. કોહલીએ એવો પણ સંકેત આપ્યો હતો કે, દ.આફ્રિકા વિરુદ્ધની મેચમાં અશ્વિન મેદાન પર ઉતરશે. પાછલી ગેમને જોતાં ટીમમાં બદલાવ કરવામાં આવશે, પરંતુ આ અંગે હાલ અમે કોઇ ખુલાસો નહીં કરીએ.
દ.આફ્રિકાના કપ્તાન એબી ડેવિલિયર્સ પાસે પણ આ મેચમાં પોતાને સાબિત કરવાની તક છે. આઇસીસી વનડે રેંકિંગમાં તેમની ટીમ અને બેટ્સમેનની યાદીમાં ડિવિલિયર્સ પણ નંબર 1 છે. જો કે, આ ટૂર્નામેન્ટમાં ડિવિલિયર્સ હજુ પોતાનો કમાલ નથી બતાવી શક્યા.
ટીમમાં અશ્વિન અને જાડેજાને લેવાનું કારણ
કપ્તાન કોહલીએ ટીમ ઇન્ડિયામાં મોટા પરિવર્તન કરવાની વાત કરી છે, જેમાં પ્લેઇંગ ઇલેવનમાં અશ્વિન અને જાડેજાનો સમાવેશ કરવામાં આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, આફ્રિકન બેટ્સમેન સ્પિન રમવામાં એટલા કુશળ નથી. જાડેજાને ટીમમાં લેવાના ઘણા કારણો છે, તેઓ જો બોલિંગમાં સારું પ્રદર્શન ન કરી શકે તો પણ ફીલ્ડિંગમાં ઓછામાં ઓછા 15 રન બચાવી લે છે.
ટીમ ઇન્ડિયાની બેટિંગ શાનદાર
ભારતીય ટીમની બેટિંગ શાનદાર છે. ખાસ કરીને ટીમની ઓપનિંગ જોડીએ બંન્ને મેચોમાં 100 રનથી વધુની ભાગીદારી નોંધાવી છે. આફ્રિકા સામેની મેચમાં કોહલી પાસે પણ પોતાને સાબિત કરવાની તક છે, શ્રીલંકાની સામેની મેચમાં તેઓ 0 પર આઉટ થઇ ગયા હતા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો