Preview: વિરાટની સેના સામે ટકી શકશે બાંગ્લાદેશની ટીમ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2017: મેચ પ્રિવ્યુ સેમિ-ફાઇનલ 2 ભારત વિ. બાંગ્લાદેશ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની બીજી સેમિ-ફાઇનલ મેચ બાંગ્લાદેશ અને ડિફેન્ડિગ ચેમ્પિયન ભારત વચ્ચે ગુરૂવારના રોજ રમાશે. ભારતની ટીમ ખૂબ લોકપ્રિય અને સક્ષમ છે, પરંતુ ક્રિકેટ એવી રમતમાં છે જેમાં બાજી પલટાતા વાર નથી લાગતી. આથી બાંગ્લાદેશની ટીમને નીચી આંકી શકાય એમ નથી. ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં બાંગ્લાદેશે શાનદાર જીત મેળવી હતી, આથી ભારતની ટીમે તકેદારી રાખવાની જરૂર છે.
ભારતની ટીમના બેટ્સમેન અને બોલર્સ હાલ ફોર્મમાં છે, ફીલ્ડિંગમાં દુનિયાની શ્રેષ્ઠ ટીમ છે ભારત. કપ્તાન વિરાટ કોહલી આ મેચ પહેલાં ટીમમાં જરૂરી તમામ સુધારા-વધારા કરવામાં સફળ રહ્યાં છે. બીજી બાજુ બાંગ્લાદેશની ટીમ ભલે સેમિ-ફાઇનલમાં આવી ગઇ છે, પરંતુ તેણે અનેક વિભાગોમાં સુધારા કરવાની જરૂર છે. જો આ મેચમાં બાંગ્લાદેશ ભારતને હરાવી શક્યું, તો આજનો દિવસ બાંગ્લાદેશના ક્રિકેટ ઇતિહાસમાં મોટો દિવસ હશે.
બુધવારે સાંજે મીડિયા સાથે વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, મેચ માટે ટીમ પર કોઇ દબાણ નથી. ટીમ પહેલા પણ આ રીતની મોટી મેચો રમી ચૂકી છે, જેનો ફાયદો અમને મળી રહ્યો છે. અમે બાંગ્લાદેશની ટીમને ઓછી નથી આંકતા. આપણે સૌ જોઇ ચૂક્યા છીએ કે બાંગ્લાદેશની ટીમ સૌને ચોંકાવી શકે છે. આ સાથે જ વિરાટે લોકોને વાયદો કર્યો હતો કે, જ્યારે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામ મેદાન પર ઉતરશે, ત્યારે લોકોને કોઇ પણ પ્રકારે નિરાશ નહીં કરે.
ઉમેશ કે અશ્વિન?
વિરાટ કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, બાંગ્લાદેશ સામેની મેચમાં શું ઉમેશને ફરીથી ટીમમાં લેવામાં આવશે? તો આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ઉમેશે પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ દ.આફ્રિકા સામે અશ્વિનનું પ્રદર્શન શાનદાર હતું. આથી ટીમમાં કોઇ પરિવર્તન કરવામાં નહીં આવે.
તખ્તો પલટવા તૈયાર બાંગ્લાદેશ
વિરાટ કોહલીએ સાચી વાત કહી હતી, બાંગ્લાદેશની ટીમ કોઇ પણ ટીમને ચોંકાવી શકે છે. બાંગ્લાદેશની ટીમ તખ્તો પલટવામાં ઉસ્તાદ છે. આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝિલેન્ડ જેવી મજબૂત ટીમને બહાર કરી બાંગ્લાદેશે આ વાત સાબિત કરી છે. વર્ષ 2015નું વર્લ્ડ કપ યાદ કરીએ તો, એમાં પણ ઇંગ્લેન્ડને બહાર કરવાવાળી ટીમ બાંગ્લાદેશ જ હતી. આ વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ પહોંચી હતી અને બાંગ્લદેશે ટીમને 2-1થી માત આપી હતી.
બાંગ્લાદેશનો સૌથી કુશલ બોલર
આ સીરિઝમાં બાંગ્લાદેશની ટીમને પોતાનો સૌથી કુશળ બોલર મળ્યો હતો, મુસ્તફિઝુર રહમાન. મુસ્તફિઝુરે પોતાની ડેબ્યૂ મેચમાં ભારતની 5 વિકેટ લીધી હતી અને બીજી મેચમાં 6 વિકેટ લીધી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની બાંગ્લાદેશની ટીમમાં મુસ્તફિઝુર હાજર છે અને તે કહી પણ ચૂક્યાં છે કે, તેઓ ફરી એકવાર ભારતની ટીમને પોતાની ઑફ કટરથી હેરાન કરશે.
ભારત-પાક. કે ભારત-બાંગ્લાદેશ
ભારત વિ. પાકિસ્તાનની મેચમાં વિશ્વના તમામ દેશોને રૂચિ છે અને આથી જ આ મેચને ખૂબ ડ્રામેટિક મહત્વ મળે છે. ભારત વિ. બાંગ્લાદેશની મેચો પણ કંઇક એવી જ બનતી જાય છે, આ પાછળનું કારણ છે બાંગ્લાદેશના લોકોમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન. ભારતમાં ક્રિકેટ એક ધર્મ સમાન છે, તો બાંગ્લાદેશમાં ક્રિકેટને એનાથી પણ વધુ મહત્વ મળે છે.
ટીમ ઇન્ડિયા સામે ટકી શકશે બાંગ્લાદેશ?
બાંગ્લાદેશની રેંકિગમાં સુધારો થયો છે, આમ છતાં તે ટીમ ઇન્ડિયાની સરખામણી કરી શકે એમ નથી. શિખર ધવન અને રોહિત શર્માની જોડી બાંગ્લાદેશના તામિમ ઇકબાલ અને સૌમ્યા સરકાર કરતાં ઘણી વધારે સફળ રહી છે. જો કે, તમીમનું આ ટૂર્નામેન્ટમાં પ્રદર્શન ખરેખર વખાણવા લાયક છે.
આ સિવાય દૂર દૂર સુધી ઇમરૂલ કાયેસ કે સાબીર રહમાનની તુલના વિરાટ કોહલી સાથે થઇ શકે એમ નથી. 50 ઓવરની ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોની લિજન્ડ છે, જેમની સામે મુશફિકર રહીમ ટકી શકે એમ નથી. બાંગ્લાદેશના મહમદુલ્લાહ રિયાદ શાનદાર મોચ વિજેતા છે, પરંતુ યુવરાજ સિંહની આ 300મી વનડે મેચ છે, આથી સરખામણીની કોઇ શક્યતા જ નથી. બાંગ્લાદેશના મશરફ, તાસ્કિન, રુબેલ અને મુસ્તફિઝુર સારા ખેલાડીઓ છે, પરંતુ સામે ભારત પાસે ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અના હાર્દિક પંડ્યા જેવા શ્રેષ્ઠ ખેલાડીઓ છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો