ભારત વિ. શ્રીલંકાઃ દિવ્યાંગોના બીજા T-20 વર્લ્ડકપમાં ભારતની જીત
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવ્યાંગે માટેની બીજી ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચમાં હાજરી આપી હતી.
શનિવારના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ દિવ્યાંગો માટેના બીજા ટી-20 વર્લ્ડ કપની મેચમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતા, અહીં તેમણે દિવ્યાંગ ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાયેલ આ મેચમાં ઉપસ્થિત થયેલાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમાજ સાથે જ સરકાર પણ દિવ્યાંગજનોની શક્તિઓને ઉજાગર કરવા કટિબદ્ધ છે.
તેમણે આગળ કહ્યું કે, દિવ્યાંગો પાસે અખુટ શક્તિનો સ્ત્રોત રહેલો છે, જેને માત્ર થોડા પ્રોત્સાહનની જરૂર છે. આવી ક્રિકોટ મેચ સહિતની અન્ય રમતો, સ્પેશિયલ ખેલ મહાકુંભ વગેરે જેવા આયોજનોથી રાજ્ય સરકાર પણ તેમની શક્તિઓને ઉજાગર કરવા પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે, જે પુરતી દ્રષ્ટિ ધરાવતા નથી, તેવા વિકલાંગો આજે ક્રિકેટ જેવી રમત રમી રહ્યાં છે, જેમાં તો સારી દ્રષ્ટિની વિશેષ જરૂર છે. આજે તેમને અહીં રમતા જોઇને લાગે છે કે, તેઓ ગુજરાતમાં રમાતી શેરી ક્રિકેટ કરતાં પણ ઘણું સારું પ્રદર્શન કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિકલાંગ ક્રિકેટરો પ્રત્યેની સંવેદનાનો સ્વાનુભવ કરતાં જાતે પણ બેટિંગ કરી હતી. તેમણે ભારત-શ્રીલંકા વચ્ચેની આ મેચમાં 'મેન ઓફ ધ મેચ' બનેલ પ્રકાશકુમાર તથા ગુજરાતના ખેલાડી ચેતન પટેલને ટ્રોફી અને ઇનામથી સન્માનિત કર્યા હતા. તેમણે ભારતની ટીમને વિજેતા થવા બદલ તથા આયોજકોને ગુજરાતમાં આવા 'ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ'નું સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. ગુજરાતના જાણીતા ક્રિકેટ ખેલાડીઓ પાર્થિવ પટેલ તથા જસપ્રિત બુમરાહ પણ આ મેચમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અહીં વાંચો - 'હું દક્ષિણનો ગુંડો છું' કહી શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો