ભારત-પાક.ની મેચ હાઇ-પ્રોફાઇલ નહીં, નોર્મલ હશેઃ અઝહર અલી
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચ અંગે બંન્ને દેશોમાં કેટલો ઉત્સાહ હોય છે એ કહેવાની જરૂર નથી. જો કે, પાકિસ્તાનના બેટ્સમેન અઝહર અલીનું કહેવું કંઇક બીજું જ છે.
1 જૂન, 2017 ને ગુરૂવારથી ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થનાર છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પહેલી મેચ બાંગ્લાદેશ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. 4 જૂનના રોજ ભારત પોતાની પહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાન સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચ અંગે બંન્ને દેશોમાં કેટલો ઉત્સાહ હોય છે એ કહેવાની જરૂર નથી.

જો કે, પાકિસ્તાનના બેટ્સમેન અઝહર અલીનું કહેવું કંઇક બીજું જ છે. તેમનું માનવું છે કે, આ કોઇ હાઇ-પ્રોફાઇલ મેચ નહીં હોય, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પણ નોર્મલ મેચ જેવી જ રહેશે. અઝહરે કહ્યું હતું કે, 'એક ખેલાડી તરીકે તમારે દરેક મુકાબલા માટે તૈયાર રહેવું જોઇએ. કોઇ ઇન્ટરનેશનલ મેચ સરળ નથી હોતી. દરેક મેચ માટે તમારે સખત મહેનત કરવી પડે છે અને ભારત વિરુદ્ધની મેચમાં પણ કંઇ એવું જ છે.'
અઝહરે આગળ કહ્યું કે, 'હું આ મેચને અન્ય સામાન્ય મેચની માફક જ લઉં છું. કોઇ પણ ખેલાડી મેચને સહજતાથી લે છે અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રમે છે. ખેલાડીએ ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રમવાનું હોય છે. જ્યારે અમે મેદાનમાં પોતાના દેશનું ટી-શર્ટ પહેરીને ઉતરીએ છીએ, ત્યારે પોતાના તરફથી 100% આપવાની કોશિશ કરીએ છીએ. દરેક ખેલાડીનું એવું જ હોય છે.
ક્રિકેટમાં મીની વર્લ્ડકપને નામે જાણીતી ચેમ્પિયન્સ ટ્રોફી અંગે વાત કરતાં અઝહરે કહ્યું કે, 'ચેમ્પિયન્સ ટ્રોફી એ ખેલાડીઓ માટે તેમનું કૌશલ્ય દેખાડવાની સુંદર તક સમાન છે. પાકિસ્તાની ટીમ પૂરી મહેનત અને લગન સાથે મેચ રમશે.' ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ મેચોમાં અઝહર અલીનું પ્રદર્શન ખાસું નોંધપાત્ર રહ્યું છે. તેમણે 45 મેચોમાં 38.21ની એવરેજ સાથે 1605 રન ફટકાર્યાં છે.












Click it and Unblock the Notifications
