ટીમ ઇન્ડિયાના નવા કોચ તરીકે રવિ શાસ્ત્રીનું નામ ફાઇનલ?
ટીમ ઇન્ડિયાના કોચ પદેથી અનિલ કુંબલેના રાજીનામા બાદ નવા કોચ પસંદ કરવાની જવાબદારી સીએસીને સોંપવામાં આવી હતી.
સોમવારની સાંજે ટીમ ઇન્ડિયાના કોચની પસંદગી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. સોમવારે જ ભારતીય ક્રિકેટ ટીમના મેઇન કોચ માટે ઇન્ટરવ્યૂ યોજાનાર હતા. ઉપલબ્ધ જાણકારી અનુસાર આ ઇન્ટરવ્યુ માટે 6 લોકોનું નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં રવિ શાસ્ત્રીનું નામ મોખરે છે.
રવિ શાસ્ત્રીનું નામ લગભગ ફાઇનલ
સૂત્રો અનુસાર, રવિ શાસ્ત્રીનું નામ લગભગ ફાઇનલ છે, કારણ કે કપ્તાન વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રીના નામ પર મંજૂરીની મહોર મારી છે. વળી કોચના પદ માટે અરજી આપતાં પહેલાં જ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, જો તેમને ખાતરી આપવામાં આવે તો જ તેઓ પદ માટે આવેદન કરશે.
શું છે કાર્યક્રમ?
સોમવારે મુંબઇમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટી(CAC) ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક આયોજીત કરશે. આ રેસમાં રવિ શાસ્ત્રીનું નામ સૌથી આગળ હોવાનું મનાય છે. હાલ ભારતીય ટીમના મુખ્ય કોચ પસંદ કરવાની જવાબદારી સીએસીને જ સોંપવામાં આવી છે. આ કમિટિમાં ત્રણ ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણનો સમાવેશ થાય છે. સૌરવ ગાંગુલીના કહેવા અનુસાર, સોમવારે સાંજ સુધીમાં નવા કોચનું નામ જાહેર થઇ જશે.
10 આવેદન
કહેવાઇ રહ્યું છે કે, અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે બીસીસીઆઇને 10 અરજીઓ મળી ચૂકી છે. રવિ શાસ્ત્રી, વીરેન્દ્ર સેહવાગ, ટૉમ મૂડી, રિચર્ડ પાયબસ, ડોડા ગણેશ, લાલચંદ રાજપૂત, લાંસ ક્લૂજનર, રાકેશ શર્મા(ઓમાન નેશનલ ટીમ કોચ), ફિલ સિમંસ અને ઉપેન્દ્ર બ્રહ્મચારી(એન્જિનિયર, ક્રિકેટ બેકગ્રાઉન્ડ નથી)એ આ પદ માટે આવદેન કર્યું છે.
કુંબલે વિ. કોહલી
ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચમાં ભારતની હાર બાદ કપ્તાન વિરાટ કોહલી અને તે સમયે ટીમ ઇન્ડિયાના કોચ અનિલ કુંબલે વચ્ચેના વિવાદની વાતો સામે આવી હતી. કોહલી અને કુંબલે વચ્ચે સમાધાન કરાવવાના પ્રયત્નો પણ થયા હતા, પરંતુ આખરે અનિલ કુંબલેએ એમ કહી રાજીનામું આપી દીધું હતું કે, વિરાટ કોહલીને તેમની કામ કરવાની રીત સામે વાંધો છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો