કેપ્ટન કોહલીએ બુમરાહને આપ્યો હતો જીતનો મંત્ર
અત્યંત રસાકસીભરી નાગપુરની ભારત વિ. ઇંગલેન્ડની T-20 મેચમાં ભારતના યુવા બોલર જસપ્રીત બુમરાહે છેલ્લી ઓવરમાં ભારતને વિજય અપાવી સિરિઝમાં બરોબરી કરવામાં મહત્વપૂર્ણ પાળો આપ્યો છે.
અત્યંત રસાકસીભરી નાગપુરની ભારત વિ. ઇંગલેન્ડની T-20 મેચમાં ભારતના યુવા બોલર જસપ્રીત બુમરાહે છેલ્લી ઓવરમાં ભારતને વિજય અપાવી સિરિઝમાં બરોબરી કરવામાં મહત્વપૂર્ણ પાળો આપ્યો હતો. ભારતની આ જીત પાછળ કપ્તાન વિરાટ કોહલીનો હાથ હોવાનું જસપ્રીત બુમરાહે જણાવ્યું છે.
ઇંગ્લેન્ડની ટીમ સામે 145 રનનો લક્ષ્યાંક
ઇંગ્લેન્ડના કપ્તાન ઇઓન મોર્ગને ટોસ જીતી ભારતને બેટિંગ માટે આમંત્રિત કરી હતી. ભારત તરફથી કપ્તાન કોહલી અને કે.એલ.રાહુલે દાવની શરૂઆત કરી હતી. કોહલી માત્ર 21 રન બનાવી આઉટ થઇ ગયા, પરંતુ રાહુલે શાનદાર બેટિંગ કરી 71(47) રન બનાવ્યા અને મનીષ પાંડેએ 30(26) રન બનાવ્યા હતા. રૈના, યુવરાજ અને ધોની જેવા T-20 ના નામાંકિત બેટ્સમેન ગઇ કાલની મેચમાં પોતાનો કમાલ બતાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. 144 રને ભારતનો દાવ સમાપ્ત થયો હતો અને ઇંગ્લેન્ડની ટીમને 145 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ભારતના દાવમાં ઇંગ્લેન્ડની ટીમના જોર્ડને ફરી એકવાર શાનદાર અને કરકસરયુક્ત બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. મોઇન અલીએ પણ કરકસરયુક્ત બોલિંગ કરી હતી.
બુમરાહ અને નેહરાની શાનદાર બોલિંગ
ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ સાધારણ રહી, અનુભવી નેહરાએ 2 વિકેટ લીધી હતી. ભારતના બુમરાહ અને નેહરાની કરકસરયુક્ત બોલિંગના કારણે જ ભારતને વિજય પ્રાપ્ત થયો હતો. બુમરાહે 4 ઓવરમાં 20 રન આપી 2 વિકેટો ઝડપી હતી, જ્યારે છેલ્લી ઓવરમાં તેણે 2 રન આપી 2 વિકેટ લીધી હતી. બીજી બાજુ આશીષ નેહરાએ 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ પોતાને નામ કરી હતી.
બુમરાહે માંગી હતી મદદ
છેલ્લી બોલ પર ઇંગ્લેન્ડને જીતવા માટે 6 રનની જરૂર હતી. બુમરાહ ટેલેન્ટેડ યુવક છે, પરંતુ અનુભવની કમી છે. આથી જ તેમણે છેલ્લો બોલ નાંખતા પહેલાં કપ્તાનની સલાહ માંગી હતી. કપ્તાન કોહલી તરત બુમરાહ પાસે પહોંચ્યા અને તેમને જણાવ્યું કે છેલ્લો બોલ કઇ રીતે નાંખવો. વિરાટ કોહલી આ અંગે જણાવ્યું કે, બુમરાહે મારી પાસે સલાહ માંગી કે શું કરવું. મેં એને પોતાની સ્કિલ પર ધ્યાન આપવા જણાવ્યું. છેલ્લા બોલ પર છગ્ગો લાગી પણ જાય તો દુનિયા ખતમ નથી થઇ જવાની. કાલે ફરીથી તને રમવાની તક મળશે. બુમરાહે ડૉટ બોલ ફેંકી ઇંગ્લેન્ડના ખેલાડીને રન બનાવવાની તક ન આપી અને ભારતીય ટીમનો વિજય થયો.
બુમરાહે કોહલીની સલાહના વખાણ કરતાં કહ્યું કે, કપ્તાનનો આત્મવિશ્વાસ હંમેશા મદદગાર સાબિત થાય છે. તેમણે મને છૂટ આપી કે હું જે રીતે ઇચ્છું તે રીતે બોલ ફેંકી શકું છું. આથી જ હું મારી તાકાત અને આત્મવિશ્વાસને જાળવી રાખીને રમી શક્યો.
નાગપુરમાં રમાયેલી ભારત વિ. ઇંગ્લેન્ડની આ T-20 મેચમાં બુમરાહને 'મેન ઓફ ધ મેચ'નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અને કે.એલ.રાહુલને 'બેન્કેબલ પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ સિરિઝની આગામી ડિસાઇડર મેચ 1 ફેબ્રૂઆરીના રોજ બેંગ્લોર ખાતે રમાશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો