વિરાટ કોહલીનું બીજી વનડેમાં રમવું શંકાસ્પદ
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: ભારતના મધ્યમક્રમના બેટ્સમેન વિરાટ કોહલી પાકિસ્તાનની સામેની પ્રથમ વનડેમાં ઇજાગ્રસ્ત થઇ ગયો છે, જેના કારણે તેનું બીજી વનડે મેચમાં રમવું શંકાસ્પદ બની ગયું છે.
કોહલી પાકિસ્તાનના દાવ દરમિયાન 41મી ઓવર કરી રહ્યા હતા, ત્યારે તેમનો એક પગ લપસી ગયો અને તે પડી ગયો હતો. જેમાં તેના ઘુંટણને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ લંગડાતા-લંગડાતા મેદાનની બહાર જતા રહ્યા અને સુરેશ રૈનાએ તે ઓવર પૂરી કરી.
બોર્ડ સચિવ સંજય જગદાલે જણાવ્યું કે 'વિરાટ કોહલી પાકિસ્તાનની સામે ચેન્નાઇમાં પ્રથમ મેચમાં બોલીંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. તેમનું મેચ બાદ એમઆરઆઇ કરવામાં આવ્યું હતું.'
તેમણે જણાવ્યું કે 'તેમના પ્રમુખ લિગામેન્ટ બરાબર છે, તેમના ઘુંટણોમાં સામાન્ય ઇજા પહોંચી છે. ઇજા બાદ તેઓ સાજા થઇ રહ્યા છે. તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અને 3 જાન્યુઆરી 2013ના રોજ કોલકાત્તામાં બીજી વનડે મેચમાં તે રમી શકશે કે નહી તેનો નિર્ણય આવનાર બે દિવસમાં નિર્ણય કરવામાં આવશે.'