IPL સ્પૉટ ફિક્સિંગ કેસમાં સુપ્રીમમાં નામોનો થયો ખુલાસો, રિપોર્ટમાં રાજ કુંદ્રા, મયપ્પન અને શ્રીનિવાસ
નવી દિલ્હી, 14 નવેમ્બર: સુપ્રીમ કોર્ટમાં આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ કેસમાં ગુરૂનાથ મયપ્પનમ રાજ કુંદ્રા, સ્ટુઅર્ટ બિન્ની, સુંદર રમણ અને એન શ્રીનિવાસનના નામ સામે આવ્યા છે. તેમની ભૂમિકાને લઇને ચર્ચા થઇ નહી પરંતુ પૂર્વ જસ્ટિસ મુકુલ મુદગલ કમિટીના રિપોર્ટ પહેલાં સીલબંધ કવર ખોલ્યા બાદ તેમનું નામ સામે આવ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 24 નવેમ્બરના રોજ થશે.
સુંદર રમણ આઇપીએલના પૂર્વ સીઇઓ છે, જ્યારે રાજ કુંદ્રા રાજસ્થાન રૉયલ્સના માલિકોમાંથી એક છે, શ્રીનિવાસન બીસીસીઆઇના પૂર્વ પ્રમુખ અને ગુરૂનાથ મયપ્પન તેમના જમાઇ છે. જો કે પાંચ મોટા નામ ઉપરાંત અન્ય ખેલાડીઓના નામ પણ ફિક્સિંગ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે ત્યારે બધા નામાનોને સાર્વજનિક કરવામાં આવ્યા નથી.
આ મુદ્દે કોની શું ભૂમિકા રહી છે તેને લઇને કોર્ટે હજુ કોઇ ચર્ચા કરી નથી. રિપોર્ટની કોપી બીસીસીઆઇ, ખેલાડીઓ અને શ્રીનિવાસનને આપવામાં આવશે. સાથે જ રિપોર્ટમાં ખેલાડીઓનો રોલ પણ સ્પષ્ટ નથી. કેસ તપાસ કરી રહેલી પૂર્વ ન્યાયાધીશ મુકુલ મુગ્દલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની સમિતિએ ગત ત્રણ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં અંતિમ રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ દરમિયાન બીસીસીઆઇએ ચૂંટણી ટાળી દિધી છે. બીસીસીઆઇની 20 નવેમ્બરના રોજ થનારી એજીએમ ચાર અઠવાડિયા માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ એજીએમમાં નવા બીસીસીઆઇ પ્રમુખની ચૂંટણી થવાની છે.