ભારતીય ક્રિકેટની ના ભૂલી શકાય તેવી પળો
ભારતીય ક્રિકેટ અનેક યાદગાર પળો સાચવીને બેઠું છે ક્યારેક ખેલાડી દ્વારા કરવામાં આવેલું શાનદાર પ્રદર્શન હોય છે, તો ક્યાંક ટીમની એકતા, ક્યાંક ટીમ દ્વારા ઉત્કૃષ્ટતા દર્શાવીને મેળવેલા વિજય હોય છે. ત્યારે આજે અહીં અમે એવી જ કેટલીક યાદગાર પળો લઇને આવ્યા છે, જેમાં ભારતીય ક્રિકેટ દ્વારા પોતાનું સરાહનીય પ્રદર્શન કર્યું હતું. જેમાં 2011નો વિશ્વકપ, 2007ના ટી-20 વિશ્વકપ, પાકિસ્તાન સામેનો પ્રવાસ, 2001ની ટેસ્ટ મેચ, 2003નો વિશ્વકપ, 1983નો વિશ્વકપ કે પછી 2002ની ઇંગ્લેન્ડમાં રમાયેલી નેટવેસ્ટ ત્રીકોણીય શ્રેણી, ભારતીય ટીમ દ્વારા શાનદાર પ્રદર્શન કરીને પોતાની 100 ટકા આપવાનો પ્રયાસ કર્યો હતો.
2002મા ઇંગ્લેન્ડમાં યુવરાજ સિંહ અને મહોમ્મદ કૈફની જોડીએ ધમાલ મચાવીને ભારતને ફાઇનલમાં વિજય અપાવ્યો હતો અને ગાંગુલીએ લોર્ડ્સના મેદાન પર પોતાની ટીશર્ટ કાઢીને ફરકાવી હતી. તો 2007ના ટી-20 વિશ્વકપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડના બોલર સ્ટૂઅર્ટ બ્રોડની ઓવરમાં છ છગ્ગા ફટકારીને બધાને હલાવી દીધા હતા. તો ચાલો તસવીરો થકી જાણીએ ભારતીય ક્રિકેટની આવી જ કેટલીક યાદગાર પળો.
2011નો વિશ્વકપ
ભારતમાં યોજાયેલા વિશ્વકપમાં મહેન્દ્ર સિંહ ધોનીના આગેવાની હેઠળની ભારતીય ટીમે કપેલ દેવ દ્વારા રચવામાં આવેલા ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું અને ભારતને બીજો વિશ્વકપ જીતાડ્યો હતો. આ મેચમાં યુવરાજ સિંહે માંદગી હોવા છતાં પણ રમવાનું ચાલું રાખ્યું હતુંને ટૂર્નામેન્ટમાં સારા પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ પળ એટલા માટે પણ ખાસ છે કે, ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની ઇચ્છા હતી કે તે દેશને વિશ્વકપ અપાવે અને 2011માં તેની હાજરી સાથેની ટીમે વિશ્વકપ જીતતાં તેનું આ સ્વપ્ન પણ પૂર્ણ થયું હતું.
2007નો વિશ્વકપ
આઇસીસી દ્વારા લોન્ચ કરવામાં આવેલા પહેલા ટી-20 વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતે આ વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પણ યુવરાજ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઇંગ્લેન્ડ સામેની મેચમાં યુવરાજ સિંહે સ્ટૂઅર્ડ બ્રોડની ઓવરમાં સતત છ બોલમાં છ છગ્ગા ફટકારીને એક અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. નોંધનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ગાંગુલી, દ્રવિડ અને સચિન જેવા અનુભવી ખેલાડીઓના સ્થાને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી.
2004માં પાકિસ્તાનનો પ્રવાસ
પાકિસ્તાન સામેની કોઇપણ મેચ હોય એ ભારત અને ભારતીયો માટે ખાસ બની જાય છે, તેમ છતાં 2004માં ભારત દ્વારા જે પાકિસ્તાન પ્રવાસ કરવામાં આવ્યો હતો તે ઘણો જ ખાસ અને યાદગાર સાબિત થયો હતો. કારગીલ યુદ્ધ બાદ પહેલી વાર ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઇ હતી. જેમાં પાંચ વનડેની શ્રેણીમાં ભારતે 3-2થી અને ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ભારતે 2-1થી વિજય મેળવ્યો હતો. તેમજ આ પ્રવાસ દરમિયાન સહેવાગે તેના વિસ્ફોટક અંદાજનો પરચો આપ્યો હતો અને મુલતાન ખાતે રમાયેલી ટેસ્ટમાં 309 રનની ઇનિંગ રમી હતી.
2003નો વિશ્વકપ
2003માં ભારતીય ક્રિકેટ ટીમે મેદાન પર જે ટીમ સ્પિરિટ અને એકતા દર્શાવી હતી તે ક્યારેય જોવા મળી નહોતી. દક્ષિણ આફ્રિકામાં રમાયેલા 2003ના વિશ્વકપમાં જો ભારતનો ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં પરાજય ના થયો હોત તો ગાંગુલીના આગેવાની હેઠળની એ ટીમ કપીલ દ્વારા રચવામાં આવેલા ઇતિહાસને દહોરાવવામાં સફળ રહી હોત. પરંતુ પોન્ટિંગ દ્વારા ફટકારવામાં આવેલા 140 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારત સામે 326 રનનો લક્ષ્યાંક મુક્યો હતો જેમાં ભારતનો 125 રને પરાજય થયો હતો. તેમ છતાં વિશ્વકપ દરમિયાન ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
નેટવેસ્ટ ટ્રોફી ફાઇનલ, 2002
ઇંગ્લેન્ડમાં ભારત, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે એક ત્રીકોણીય શ્રેણી રમાઇ હતી. જેમાં ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ હતું. ઇંગ્લેન્ડ દ્વારા ફાઇનલમાં ભારત સામે 326 રનનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો હતો અને ભારતે 146માં ગાંગુલી, દ્રવિડ અને તેંડુલકર સહિત પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે યુવરાજ સિંહ અને મહોમ્મદ કૈફ બે યુવા ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કર્યો હતો અને બન્નેએ ગાંગુલીના વિશ્વાસ પર ખરા ઉતરીને ટીમને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. આ મેચમાં ભારતનો અંતિમ ઓવરમાં વિજય થયો હતો અને ગાંગુલીએ લોર્ડ્સની બાલકની પરથી પોતાની ટીશર્ટ કાઢીને હવામાં લહેરાવી હતી.
કોલકતા ટેસ્ટ, 2001
2001માં કોલકતામાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ કોને યાદ નહીં હોય. ભારત નવા કોચ અને સુકાની સાથે મેદાની પર ઉતરી હતી અને તેના પર સારું પ્રદર્શન કરવાનું દબાણ હતું. ટીમે મુંબઇમાં ટેસ્ટ ગુમાવી દીધી હતી અને કોલકતામાં પણ સ્થિતિ એવી જ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારત 171માં ઓલ આઉટ થઇ ગયું હતું, ફોલઓનમાં બેટિંગ કરતા ભારતે બીજી ઇનિંગમાં 657 રન બનાવીને ઓસ્ટ્રેલિયા સામે 376નો લક્ષ્યાંક મુક્યો હતો. જેમાં હરભજન સિંહે શાનદાર બોલિંગ નાંખતા ઓસ્ટ્રેલિયા 212 રનમાં ઓલાઉટ થઇ ગયું હતું. જોકે આ મેચમાં વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. લક્ષ્મણે 281 રનની અને રાહુલ દ્રવિડે 180 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
વિશ્વ ચેમ્પિયનશીપ, 1985
ઓસ્ટ્રેલિયામાં 1985માં રમાયેલી વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાઇ હતી જેમાં પાકિસ્તાન તરફથી આપવામાં આવેલા 179ના લક્ષ્યાંકને ભારતે હાંસલ કરી લીધો હતો. શ્રેણી દરમિયાન રવિ શાસ્ત્રી દ્વારા શાનદાર પ્રદર્શન કરવા બદલ મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો અને તેને પુરસ્કાર રૂપે ઑડી 100 આપવામાં આવ્યા હતા.
1983નો વિશ્વકપ
1983માં ઇંગ્લેન્ડમાં વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને વિશ્વકપની ફાઇનલ જીતી હતી. શ્રેણીની વાત કરવામાં આવે તો ઝિમ્બાવ્વે સામે કપીલ દેવ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કપીલ દેવે 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી.
1971માં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડનો પ્રવાસ
1971માં ભારતે બે શ્રેણી જીતી હતી. અજીત વાડેકરના નેતૃત્વ હેઠળની ટીમે વેસ્ટઇન્ડિઝ સામેની પાંચ ટેસ્ટની શ્રેણી 1-0થી જીતી હતી. આ શ્રેણીમાં સુનિલ ગાવસ્કરે શાનદાર પ્રદર્શન કરતા 4 સદી સાથે 774 રન ફટકાર્યા હતા. જેમા 220 રન હાઇએસ્ટ હતા. જ્યારે ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણી પણ ભારતે 1-0થી જીતી લીધી હતી. આ શ્રેણીમાં ચંદ્રશેખરે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને એક મેચમાં આઠ વિકેટ ઝડપી હતી.
મદ્રાસ ટેસ્ટ, 1952
1952માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટમાં ભારતે એક ઇનિંગ અને આઠ રનથી મેચ જીતી હતી. આ મેચમાં વિનુ માંકડે 12 વિકેટ ઝડપી હતી.