IPL સ્પોટ ફિક્સિંગ રિપોર્ટમાં શ્રીનિવાસનનું નામ : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 16 એપ્રિલ : સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું છે કે ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) પોતાની સંસ્થાકીય સ્વાયત્તતાને જાળવી રાખવા માટે સટ્ટાખોરી અને સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં એન. શ્રીનિવાસન તથા અન્ય 12 જણ સામે તપાસ શરૂ કરવી જોઈએ અને IPL 2014ના ચીફ ઓપરેટિંગ ઓફિસર પદે ચાલુ રહેવાની સુંદર રામનને પરવાનગી પણ આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે તે ન્યાયમૂર્તિ મુકુલ મુદગલ સમિતિએ કરેલા આરોપો સામે પોતે આંખો બંધ કરી શકે નહીં.
આજથી આઇપીએલની સાતમી સીઝન શરૂ થઈ રહી છે ત્યારે ન્યાયમૂર્તિ એ.કે. પટનાયકની આગેવાની હેઠળની બેન્ચે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડની તપાસ માટે ‘સીટ'ની રચના કરવા કે સીબીઆઈને કેસ સોંપવાનો આદેશ આપવામાં નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, બોર્ડની સંસ્થાકીય સ્વાયત્તતા જળવાવી જોઈએ અને બીસીસીઆઈએ નિમેલી સમિતિએ કોર્ટે જણાવેલા મામલામાં તપાસ કરાવવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ મુદગલ સમિતિના સીલબંધ રીપોર્ટનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, રીપોર્ટમાં જણાવાયું છે કે તમામ આરોપ વિશે શ્રીનિવાસનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પણ તેમણે કોઈ પગલું લીધું નહોતું. આનો મતલબ એ થાય કે તે તે આરોપોથી વાકેફ હતા અને માટે જ તેમણે અગાઉ કોઈ પગલું લીધું નહોતું.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે મુદગલ સમિતિના રીપોર્ટમાં શ્રીનિવાસનનું નામ હોવાથી ક્રિકેટ બોર્ડે તેમને સંસ્થાની કામગીરીથી દૂર રાખવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શ્રીનિવાસનને બીસીસીઆઈના પ્રમુખપદેથી કામચલાઉ હટાવી તેમની જગ્યાએ સુનીલ ગાવસકરને વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.