સ્પૉટ ફિક્સિંગ: શ્રીસંતે કબૂલ્યો ગુનો, કહ્યું મને જીજૂએ ફસાવ્યો
નવી દિલ્હી, 17 મે: આઇપીએલ સીઝન-6માં ફિક્સિંગને લઇને રોજ નવા ખુલાસા થઇ રહ્યાં છે. પાંચ દિવસોના રિમાન્ડ પર મોકલેલા ક્રિકેટર શ્રીસંતને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે શુક્રવારે ગહન તપાસ કરી હતી. જેમાં શ્રીસંતે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીસંતે પોતાનો ગુનો સ્વિકાર કરતાં કહ્યું હતું કે તેને જીજૂએ ફસાવ્યો છે. જીજૂ જર્નાદનને શ્રીસંતનો સંબંધી માનવામાં આવે છે. શ્રીસંતે એમ પણ કહ્યું છે કે ફિક્સિંગની કાળી રમતમાં જીજૂએ જ તેને ફસાવ્યો છે. જો કે શ્રીસંતના વકીલ હજુ કહી રહ્યાં છે કે તેમનો અસીલ નિર્દોષ છે.
બીજી તરફ રાજસ્થાન રોયલ્સના ક્રિકેટર અંકિત ચૌહાણે પણ ફિક્સિંગનો ગુનો કબૂલી લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુછપરછ દરમિયાન અંકિત રડી પડ્યો હતો અને તેને સ્વિકારી હતું કે મારાથી ભૂલ થઇ ગઇ છે. પુછપરછમાં એ વાત સામે આવી છે કે ફિક્સિંગના તાર લંડન સાથે જોડાયેલા હોય શકે. આ કેસમાં સામેલ બુકી બતકી કેટલીય વાર લંડન ગયો હતો. ફિક્સર સંજીવ ચાવલા સાથે સંપર્ક હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ માતા પોતાના પુત્રને નિર્દોષ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે શ્રીસંત નિર્દોષ છે તે ફિક્સિંગ કરી ન શકે.
તો બીજી તરફ દિલ્હી પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સની ત્રણ મેચો સિવાય બાકીની મેચોમાં પણ સ્પૉટ ફિક્સિંગ થયું ન હતું ને. પોલીસ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી ત્રણ મેચો (5 મે, 9 મે અને 15 મે)માં સ્પૉટ ફિક્સિંગ થઇ હોવાના પુરાવા મળ્યા છે, જેનાથી એસ. શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ ઉપરાંત 11 સટોડિયાની ધરપકડ કરવામાં આવી છે.
એ પણ જાણવા મળ્યું છે કે ધરપકડ કરવામાં આવેલ એક સટોડિયો અમિત સિંહ ગત આઇપીએલ સત્રમાં રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યો છે. એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ફોન પર વાતચીતથી બીજી મેચોમાં પણ સ્પૉટ ફિક્સિંગના સંકેત મળ્યા છે, પરંતુ હજુ સુધી કોઇ નક્કર પુરાવા મળ્યા નથી. તેમને કહ્યું હતું કે અમે સબૂત એકઠાં કરી રહ્યાં છીએ.