પાકિસ્તાન ક્રિકેટ ટીમને મળશે કડક સુરક્ષાઃ સરકાર
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી આરપીએન સિંહે કહ્યું છે કે, અમે પાકિસ્તાન ક્રિકેટ ટીમને કડક સુરક્ષા પુરી પાડીશું. આરપીએન સિંહની આ પ્રતિક્રિયા એ સમયે આવી છે, જ્યારે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ ભારત-પાક ક્રિકેટ શ્રેણીનો વિરોધ કરતા કહ્યું હતું કે તેમની પાર્ટી પાકિસ્તાન ક્રિકેટ ટીમને ભારતમાં રમવા નહીં દે.
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીએ કહ્યું છે કે, મેચનું આયોજન પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર થશે. જે લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે તેમણે ખેલને ખેલની દ્રષ્ટિથી જોવું જોઇએ. કેન્દ્ર સરકાર મેચ અને અભ્યાસ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ત્રણ ચરણની સુનિશ્ચિત કરશે.
વનડેની આ શ્રેણી દરમિયાન બન્ને ટીમો વચ્ચે ત્રણ વનડે અને બે ટી20 રમાશે. વનડેનું આયોજન ચેન્નાઇ, કોલકતા અને નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે જ્યારે ટી20 મેચનું આયોજન બેંગ્લોર અને અમદાવાદમાં કરવામાં આવ્યું છે.
પાકિસ્તાના 2007માં ભારત પ્રવાસ બાદ બન્ને દેશો વચ્ચે બીજી કોઇ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઇ નથી. મુંબઇમાં 2008માં આતંકવાદી હુમલા બાદ બન્ને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધ તુટી ગયા હતા. પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને પાકિસ્તાનના તત્કાલિન પ્રધાનમંત્રી યૂસુફ રજા ગિલાનીએ ગયા વર્ષે મોહાલીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપ સેમીફાઇનલ મેચ જોઇ હતી.