રિચાર્ડ્સે એવું તે શું કહ્યું કે વીરૂ પુનઃ બની ગયો વિસ્ફોટક?
રવિવારે મુંબઇ સામેની મેચમાં જે દિલ્હીની ટીમ મેદાન પર ઉતરી હતી અને વિજયી બની તેની પાછળ ટીમના સલાહકાર વીવીયન રિચાર્ડ્સની સલાહ જવાબદાર હોવાનું ટીમના ઓપનિંગ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે કહ્યું છે.
મેચ પુર્ણ થયા બાદ સેહવાગે કહ્યું કે, રિચાર્ડ્સે ટીમ સાથે વાતચીતમાં કહ્યું હતું કે જો બેટ્સમેન પોતાની અંદર ક્યાંક ભય અનુભવે છે તો પણ તેણે એવું દર્શાવવું જોઇએ કે તે આત્મવિશ્વાસથી ભરપૂર છે. તમે કહીં શકો છો કે તેમની આ સલાહથી દિલ્હીને જીત મેળવવામાં મદદ મળી છે. જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો તો મે મેચ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કર્યો.
દિલ્હીના સુકાની મહેલા જયવર્ધનેએ પણ મેચ બાદ પત્રકારોને કહ્યું કે, નિશ્ચિત રીતે સર રિચાર્ડ્સના આવ્યા પછી ટીમમાં પરિવર્તન આવ્યું છે. હું પણ તેમને મારી સામે જોઇને અચંભિત થઇ ગયો હતો. ટીમના યુવા ખેલાડીઓ તેને જેવા મહાન ખેલાડી પાસેથી પ્રેરણા લઇ શકે છે.