ટીમ ઇન્ડિયાનું એલાન, એક વર્ષ બાદ યુવરાજની વાપસી
મુંબઇ, 5 નવેંબરઃ સંદીપ પાટીલની અધ્યક્ષતામાં મુંબઇ ખાતે મળેલી બીસીસીઆઇની પસંદગી સમિતિએ અમદાવાદ ખાતે રમાનારી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિ દ્વારા 14 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સતત ફોર્મમાં રહેલા યુવરાજને લઇને રહેલું સસપેન્સ દૂર થયું છે. પસંદગી સમિતિએ યુવરાજ સિંહનો પ્રથમ બે મેચ માટેની ટીમ માટે સમાવેશ કર્યો છે. યુવરાજ ઉપરાંત હરભજન સિંહ અને ઇજાગ્રસ્ત ઝહીર ખાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સંદીપ પાટીલની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ એ પ્રથમ બે ટેસ્ટ માટે હાલ ટીમની પસંદગી કરી છે. જેમાં કેન્સરને માત આપનાર યુવરાજ સિંહનો એક વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુવરાજ ઉપરાંત હરભજન સિંહ, ઝહીર ખાન, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મહેન્દ્ર સિંહ ધોની, વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, ચેતેશ્વર પુજારા, આર અશ્વીન, પ્રજ્ઞાન ઓઝા, મુરલી વિજય, આજિંક્ય રહાણે, વિરાટ કોહલી, આર અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સતત નિષ્ફળ રહેલા સુરેશ રૈનાને પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ટીમમાં એકાદ બે ચહેરાને બાદ કરીને કોઇ વધું ફેરબદલાવ જોવા મળ્યો નથી. જો કે, એક આશ્ચર્યની વાત એ છે કે, ઝહીર ખાન ઇજાગ્રસ્ત હોવા છતાં પણ તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ કેન્સર સામેની લડાઇ જીતી જનાર યુવરાજ અને સુરેશ રૈનામાંથી કોને ટીમમાં સ્થાન આપવામાં આવશે, તેના પરથી પડદો ઉઠી ગયો છે અને યુવરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.