ઉત્તરાખંડઃ અહીં કાર્તિકેયે ભગવાન શિવને સમર્પિત કર્યા હતા પોતાના હાડકા
દેવભૂમિ ઉત્તરાખંડ ધર્મ અને આધ્યાત્મના ક્ષેત્રમાં સૌથી ખાસ મનાય છે. વિશ્વભરના પ્રવાસીઓને અહીં માનસિક શાંતિનો અનુભવ થાય છે.
દેવભૂમિ ઉત્તરાખંડ ધર્મ અને આધ્યાત્મના ક્ષેત્રમાં સૌથી ખાસ મનાય છે. વિશ્વભરના પ્રવાસીઓને અહીં માનસિક શાંતિનો અનુભવ થાય છે. લીલી વનસ્પતિથી છલકાતા પહાડો, ખીણ, હિમાલયના બરફીલા પહાડો, નદી ઝરણા આ ઉત્તરાખંડને અદભૂત સ્વરૂપ આપે છે. ઉત્તરા ખંડ અસંખ્ય મંદિરોનું ઘર છે. જેમાંથી કેટલાકનો સંબંધ પૌરાણિક કાળ સાથે પણ છે. ભારતના સંખ્યાબંધ મોટા તીર્થસ્થળ ઉત્તરાખંડના પહાડોમાં છે. જેમ કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી હેમકુંડ વગેરે. દર વર્ષે અહીંના પ્રાચીન મંદિરોમાં દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું રાજ્યના પ્રસિદ્ધ મંદિરોથી જુદા એક એવા ધાર્મિક સ્થળ વિશે, જેનો સંબંધ પૌરાણિક કાળની મોટી ઘટના સાથે છે.
આ પણ વાંચો: જો તમે શિવભક્ત છો, તો ભોળેનાથ આ ભવ્ય મંદિરો વિશે માહિતી હોવી જોઈએ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કાર્તિકેયનું મંદિર હિન્દુઓ માટે પવિત્ર સ્થળ છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 3050 મીટર ઉંચાઈ પર ગઢવાલમાં હિમાલયના બરફીલા પહાડો વચ્ચે સ્થિત છે. માન્યતા છે કે આ પ્રાચીન મંદિરનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. ગઢવાલની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ મંદિરમાં દર્શન કરવા જરૂર આવે છે. તાજેતરમાં જ આ મંદિર ટ્રેકર્સ અને રોમાંચના શોખીનોમાં લોકપ્રિય બન્યું છે. આ મંદિર પહાડી ઉંચાઈ પર છે, એટલે અહીંથી કુદરતી નજારો પણ જોવાલાયક છે. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
80 સીડીઓનો સફર
ભગવાન કાર્તિકેયની પૂજા ઉત્તર ભારતની સાથે સાથે દક્ષિણ ભારતમાં પણ થાય છે. દક્ષિણ ભારતમાં કાર્તિકેયને મરુગન સ્વામી નામથી ઓળખાય છે. મંદિરના ઘંટનો અવાજ લગભગ 800 મીટર દૂર સુધી સંભળાય છે. મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ 80 સીડી ચડવી પડે છે. અહીં સાંજની આરતી કે સંધ્યા આરતી ખાસ હોય છે, આ દરમિયાન ભક્તોની અહીં ભીડ ઉમટે છે. વચ્ચે વચ્ચે અહીં ભંડારાનું પણ આયોજન થાય છે. જે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ખાસ્સું લોકપ્રિય છે.
પૌરાણિક દંતકથા
આ મંદિર સાથે એક મહ્તવની પૌરાણિક ઘટના પણ જોડાયેલી છે. માન્યતા છે કે ભગવાન કાર્તિકેયે અહીં જ પોતાના હાડકા ભગવાન શિવને સમર્પિત કર્યા હતા. દંતકથા અનુસાર એક દિવસ શિવજીએ પોતાના બંને પુત્ર ગણેશ અને કાર્તિકેયને કહ્યું કે તમારામાંથી જે બ્રહ્માંડના સાત ચક્કર લગાવીને પાછા આવશે તેમની પૂજા તમામ દેવી દેવતાઓમાં સૌથી પહેલા થશે. આ મુજબ કાર્તિકેય બ્રહ્માંડના સાત ચક્કર લગાવવા નીકળી ગયા, પરંતુ ભગવાન ગણેશ માતા પિતા શિવ પાર્વતીની આસપાસ ફરવા લાગ્યા અને કહ્યું કે મારા માટે તો તમે બંને જ સંપૂર્ણ બ્રહ્માંડ છો. ભગવાન શિવ બાલગણેશની વાતથી ખુશ થયા અને તેમને સૌથી પહેલા પૂજાનું વરદાન આપ્યું. પરંતુ જ્યારે કાર્તિકેયને આ વાતની જાણ થઈ તો તેમણે પોતાનું શરીર ત્યાગી દીધું અને હાડકા ભગવાન શિવને સમર્પિત કરી દીધા.
કેમ આવશો મંદિર?
PC-Mahinthan So
કાર્તિકેયના આ મંદિરની મુલાકાત અનેક રીતે ખાસ બની શકે છે. ધાર્મિક આસ્થા ઉપરાંત અહીં પ્રકૃતિ પ્રેમી અને રોમાંચના શોખીન મુસાફરો પણ આવી શકે છે. આ મંદિર ઉંચાઈ પર અને પહાડીઓ પર સ્થિત છે એટલે અહીંથી કુદરતને માણવાનો અનેરો આનંદ મળે છે. જો તમને એડવેન્ચરનો શોખ છે, તો અહીં તમે ટ્રેકિંગની સાથે સાથે હાઈકિંગનો આનંદ પણ મેળવી શકો છો. એક શાનદાર વેકેશન માટે આ જગ્યાની મુલાકાત બેસ્ટ છે. તમે મંદિરના દર્શન ગમે ત્યારે કરી શકો છો. પરંતુ હવામાન મુજબ અહીં આવવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચની વચ્ચેનો છે. આ દરમિયાન તમે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ પણ ઉઠાવી શક્શો.
કેવી રીતે આવશો?
કાર્તિકેયનું મંદિર ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલું છે, જ્યાં તમે પરિવહનના ત્રણેય માધ્યમથી પહોંચી શકો છો. અહીં સૌથી નજીકનું એરપોર્ટ દહેરાદૂન સ્થિત જ઼લી ગ્રાન્ટ છે. તમે એરપોર્ટથી બસ કે ટેક્સી દ્વારા રૂદ્રપ્રયાગ અને ત્યાંથી મંદિર સહેલાઈથી પહોંચી શકો છો. જો તમે ટ્રેનથી ટ્રાવેલ કરી રહ્યા છો તો ઋષિકેશ રેલવે સ્ટેશને ઉતરી શકો છો. જો તમે બાય રોડ ટ્રાવેલ કરી રહ્યા છો તો રુદ્રપ્રયાગ રાજ્યના તમામ મોટા શહેરોથી જોડાયેલું છે.