દિવમાં માણો મસાજની મજા, વિદેશીઓ પણ છે દિવાના
મસાજ શબ્દ ઘણો જ જાણીતો છે. પૌરાણિક પ્રથામાં અને શાસ્ત્રોમાં પણ આપણે વાંચ્યુ છે, શરીરના અવયવોમાં આવી ગયેલી જકડને દૂર કરવામાં મસાજ સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મોમાં પણ આપણને મસાજનું મહત્વ જણાવતા દ્રશ્યો અવાર નવાર જોવા મળ્યા છે. પરંતુ મસાજ કરવી એ દરેક વ્યક્તિના બસની વાત નથી. મસાજ કરવા માટે એક ખાસ પ્રકારની ટ્રીક અને કૌશલ્ય હોવું પણ જરૂરી છે.
આજે અમે અહીં મસાજના ફાયદાની સાથે એક એવા ગુજરાતી અંગે જણાવી રહ્યાં છીએ કે, જેણે પોતાની મસાજ કરવાની કળા અને કૌશલ્યથી ભારતીયોનું જ નહીં પરંતુ વિદેશીઓનું દિલ પણ જીતી લીધું છે. દિવમાં હેર કટિંગ અને મસાજનો વ્યવસાય કરતા કાનજીભાઇનો જ્યારે અમે મસાજ અંગે જાણવા માટે સંપર્ક કર્યો ત્યારે તેમણે મસાજનું મહત્વ અને પોતાની મસાજ કરવાની કળાથી તેઓ કેવી રીતે મસાજ કરવા આવનારાઓને સંતોષ જનક મસાજ કરી આપે છે, તે જણાવ્યું હતું.
તેમણે મસાજ અંગે જણાવ્યું હતું કે, મસાજ એટલે શરીરમાં જકડાઇ ગયેલી માસપેશીઓને શાસ્ત્રીય કૌશલ્ય વડે પુર્વવત કરવાની કળા છે. એ માનવીનું જ કૌશલ્ય છે કે, જે પોતાના હાથો વડે મસાજ કરીને હાથ, પગની ઘૂંટણ, તળિયા, કોણીના હલનચલનમાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મસાજ તણાવ દૂર કરવામાં, ડાયબિટિસ જેવા રોગોમાં પણ અકસીર ઇલાજ સાબિત થઇ શકે છે. આવી જ કેટલીક વાતો અમે અહીં નીચે તસવીરોમાં જણાવી છે, તો ચાલો દિવના આ જાણીતા મસાજકર્તાને વધુ નજીકથી તસવીરો થકી જાણીએ.
સૌથી વધારે મસાજ કયા સમયગાળામાં કરવામાં આવે છે?
કાનજીભાઇએ જણાવ્યું કે, આમ તો મસાજ કરાવવા માટે લોકો બારેમાસ આવે છે, પરંતુ સૌથી સારો સમય શિયાળાનો હોય છે.
સૌથી વધારે મસાજ કોણ કરાવે છે?
કાનજીભાઇએ જણાવ્યું કે, સૌથી વધુ મસાજ વિદેશીઓ કરાવે છે. જર્મની, અમેરિકા, યુરોપ સહિતના દેશોમાંથી આવેલા પ્રવાસીઓ જ્યારે દિવની મુલાકાત લે છે, ત્યારે અચુક તેમની પાસે મસાજ કરાવે છે.
કેવા-કેવા પ્રકારની મસાજ કરવામાં આવે છે?
કાનજીભાઇએ જણાવ્યું કે, તેઓ હાર્ડ મસાજ, આયુર્વેદિક મસાજ, નોર્મલ મસાજ, એક્યુપંચર મસાજ કરી આપે છે.
બાળકોને તેમની રસના વ્યવસાયમાં જવાની છૂટ
તેમણે જણાવ્યું કે, સાતેક વર્ષથી તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમને મસાજ અને હેર કટિંગનો વ્યવસાય છે. બાળકોને ભવિષ્યમાં જે દિશામાં આગળ વધવુ હોય તે દિશામાં આગળ વધવાની છૂટ છે..
ફિલ્મના શૂટિંગ અને દિવાળીમાં ધંધામાં બરકત
તેમણે કહ્યું કે, જ્યારે અહીં ફિલ્મ સ્ટાર્સ કે સેલિબ્રિટીઝ આવતી હોય છે, અથવા તો દિવાળી સહિતના તહેવારના દિવસોમાં વ્યવસાય સારો ચાલે છે. કારણ કે તેવા સમયમાં સૌથી વધારે બહારના લોકો આવતા હોય છે.
કેવી રીતે કરવામાં આવે છે આર્યુવેદિક મસાજ?
તેમણે કહ્યું કે, આયુર્વેદિક મસાજ હાથ, પગના તળિયે વિવિધ ઔષધીઓમાંથી બનાવવામાં આવેલા તેલમાંથી કરવામાં આવે છે.
આ રીતે પોતાના વ્યવસાયને વધારવા શું કરે છે?
તેમને જ્યારે વ્યવસાય અંગે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે, મસાજના વ્યવસાયને આગળ વધારવા અને ધંધો મેળવવા માટે દિવ અને આસપાસના વિસ્તારોમાં આવેલી વિવિધ હોટલ્સ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. જેથી જે તે હોટલ્સમાં રોકાવા આવતા પ્રવાસીઓ મસાજ કરાવી શકે.
કાનજી ભાઇ માટે ગ્રાહક સંતોષ મહત્વનો
તેમણે કહ્યું કે, તેઓ દરેક મસાજ દિલથી કરે છે, પૈસા કરતા ગ્રાહકનો સંતોષ તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે.
વિદેશીઓ છે મસાજના દિવાના
તેમણે કહ્યું કે, તેઓ દિલથી મસાજ કરતા હોવાથી જ્યારે પણ વિદેશી તેમની પાસે મસાજ કરાવવા માટે આવે છે તે ક્યારેય નિરાશ થતા નથી અને જતી વેળા કોઇને કોઇ ભેટ આપતા જાય છે. જેમાં તેઓ પોતાના દેશથી લાવેલા કેમેરા, દૂરબીન, રમકડાં, મ્યુઝીક પ્લેયર્સ વિગેરે છે.
મસાજ કરવાના ફાયદા
તેમણે કહ્યું કે, મસાજ કરાવવાથી સાંધાના દુખાવા નથ. થતા, ઘૂટણની બિમારી દૂર થઇ શકે છે. પગના દુખાવા દુર થાય, રગ બંધાય ગઇ હોય તો છોડાવી શકાય છે. પરંતુ આ બધુ રેગ્લુયર મસાજ કરાવવાથી તઇ શકે છે. લોહીના પ્રવાહને સુધારવામાં, થાકને ઉતારવામાં તથા ટેન્શનને દૂર કરવામાં પણ મસાજ થેરાપી ઉપયોગી છે. જ્યારે એક જ દિવસની મસાજથી શરીરનો થાક અને માથાનો દુખાવો દૂર થઇ શકે છે. ડાયાબિટિસના દર્દીઓને મસાજથી લાંબા ગાળે ઘણો ફાયદો થઇ શકે છે. પગ સહિતના દુખાવા થતા નથી.